નલિયા દુષ્કર્મકાંડઃ કોંગ્રેસ રેલીમાં સંઘર્ષ, MLAs એક દિવસ માટે સસ્પેન્ડ
કોંગ્રેસની બેટી બચાવો રેલીએ આક્રમક રૂપ ધારણ કરતાં કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
નલિયા કાંડને લઇ ગુજરાતના પાટનગરમાં શાસક અને વિપક્ષ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. નલિયા દુષ્કર્મકાંડ માં ભાજપ ના નેતાઓના નામ સામે આવ્યા બાદ, પીડિતાને બને એટલી જલ્દી અને તટસ્થ ન્યાય મળે એ માટે કોંગ્રેસ દ્વારા 'બેટી બચાઓ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે અમદાવાદના ઝાયડુસ ચાર રસ્તાથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેટી બચાવો રેલીની શરૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગર હાઇવે પર જોવા મળ્યા હતા, કાર અને બાઇક સવારો સરકારના અન્યાય સામે આક્રમક અંદાજ દેખાડતાં તથા વિવિધ સૂત્રોચ્ચાર કરતાં આગળ વધ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓને માત્ર સભા ભરવાની પરમીટ મળી હતી, પોલીસ દ્વારા રેલી કાઢવાની પરમીટ આપવામાં નહોતી આવી. સવારથી જ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. 4 DYSP, 11 PI સહિત પોલીસ કાફલો તૈનાત હતો. આમ છતાં, વિધાનસભા નો ઘેરાવો કરતી વખતે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
વિધાનસભા પહોંચતા પહેલાં જ અટકાયત વહોરવી પડી
કોંગ્રેસ કાર્યકર્તાઓ વિધાનસભાના ઘેરાવને લઇ મક્કમ હતા, પરંતુ પોલીસ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં નહોતી આવી. 'બળાત્કારી જનતા પાર્ટી' તથા 'ભાજપથી બેટી બચાવો' જેવા આક્રમક સૂત્રોચ્ચાર સાથે આગળ વધતી કોંગ્રેસની રેલી વિધાનસભા પહોંચે એ પહેલાં જ કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાનો ઘેરાવ કરતી વેળાએ પોલીસ દ્વારા કોંગ્રસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓઅને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા કુંવરજી બાવળિયા, સિદ્ધાર્થ પટેલ, નરેન્દ્ર રાવત સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નલિયાકાંડમાં પીડિતાને ન્યાય એ જ અમારી માંગ - શંકરસિંહ વાઘેલા
સોમવારે સવારે કોંગ્રેસ કાર્યકર્તાઓને કાફલો ગાંધીનગર વિધાનસભા ભણી કૂચ કરી રહ્યો હતો, તે દરમિયાન વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, નલિયાકાંડમાં પીડિતાને ન્યાય મળે એ જ અમારી માંગ છે. આ મામલે તપાસ કાર્યમાં સરકારે બનાવેલી તપાસ કમિટિ કે SIT કે CID અમને મંજૂર નથી. સિટિંગ જજ દ્વારા આ મામલાની તપાસ આગળ વધારાય એ અમારી માંગ છે, આ અંગે ગવર્નર સાહેબને વાત કરવામાં આવશે. અમે વિધાનસભામાં હાજર રહીશું, પરંતુ નલિયાકાંડ મામલે કોંગ્રેસ સરકાર પાસેથી જવાબ ઇચ્છે છે.
ભાજપ નલિયાના આરોપીઓનો બચાવ કરે છે - મનિષ દોશી
તો બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ વિરુદ્ધ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, વિધાનસભા પહેલાં આ નલિયાકાંડ મુદ્દે ચર્ચા થવી જોઇએ, જો આ ચર્ચા નહીં થાય તો વિધાનસભાનો વિરોધ કરવામાં આવશે. પછી તો ગમે તેવી કાંટાળી વાડ લગાડો, ઘેરાવો કરીશું. પીડિતાને ન્યાય મળે એ માટે અમે પ્રયાસો કરી રહ્યાં છે, જ્યારે ભાજપ નલિયાના આરોપીઓનો બચાવ કરી રહ્યું છે. નલિયાના આરોપીઓના નામ દિલ્હી સુધી ન પહોંચે એવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે.
કેનન, ટિરયગેસ અવગણીને પણ ઘેરાવો કરીશું - ભરતસિંહ સોલંકી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, અગાઉ પણ કોંગ્રેસે વિધાનસભાનો બે વાર ઘેરાવ કર્યો હતો. આ વખતે વધારામાં સંકુલ ફરતે તારની વાડ બાંધવામાં આવી છે, જો કે અમે વોટર કેનન અને ટિયરગેસ વગેરેને અવગણીને પણ વિધાનસભાનો ઘેરાવો કરીશું. રાજ્યપાલ દ્વારા નલિયા દુષ્કર્મકાંડની તપાસ હાઇ કોર્ટના સીટિંગ જજ દ્વારા કરવામાં આવે એ જ અમારી માંગ છે.
અહીં વાંચો