ગુજરાતમાં NCP મહત્તમ બેઠકો પર ચૂંટણી લડશે: પ્રફુલ્લ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ. આજે એનસીપીએ કરી ચૂંટણી લડવાની વાત.આ અંગે વધુ વાંચો અહીં..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે ત્યારે દરેક પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના ગુજરાતના ઇન્ચાર્જ પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં એનસીપી ગુજરાતની મહત્તમ બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકો ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે અને એનસીપી ત્રીજો વિકલ્પ બની શકે છે.
રાજ્યસભાની ચૂંટણી અંગે બોલતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટે એનસીપી નહિ પણ કોંગ્રેસના બાળવાખોર ધારાસભ્યો જવાબદાર છે. શંકરસિંહ વાઘેલાએ પાર્ટી છોડ્યા બાદ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની જરૂર પડી હતી. અહેમદ પટેલે કોંગ્રેસને મત આપવા માટેની વાત કરી હતી એટલે પાર્ટીએ બંન્ને ઉમેદવારને કોંગ્રેસને માટે વ્હીપ આપ્યો હતો. જેમાંથી એક ઉમેદવારે મત નહોતો આપ્યો અને અહેમદ પટેલને જીત બાદ ફોન કરીને શુભેચ્છા પણ પાઠવી હતી. આ મામલે સોનિયા ગાંધી કે શરદ પાવર સાથે વાત નહોતી થઇ. અત્રે ઉલ્લેખનીય છે કે, એનસીપી મહારાષ્ટ્રમાં 15 અને ગુજરાતમાં 10 વર્ષથી કોંગ્રેસ સાથે છે અને સમાન વ્યહારધારા ધરાવનાર પાર્ટી સાથે આગળ પણ રહેશે. હાલ રાજ્યની રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મુડમાં આવી ગઈ છે. જેને લઈને પાર્ટીઓના હેડક્વોર્ટર કાર્યકર્તા અને નેતાઓથી ધમધમી રહ્યા છે. આજે ભાજપ હેડક્વોર્ટર કમલમ ખાતે પણ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બેઠક થઇ રહી છે. તો કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ દિલ્હીમાં ત્રણ દિવસથી ધામા નાખ્યા છે.