બાળકો તરીને શાળાએ જવાના મુદ્દે NHRCની ગુજરાત સરકારને નોટિસ
નવી દિલ્હી, 20 ઓગસ્ટ : પખવાડિયા પહેલા એક સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલને આધાર બનાવીને બાળકોને શિક્ષણ માટે રોડ અને ટ્રાન્સપોર્ટની નબળી સુવિધા પ્રદાન કરવાના મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં તેનો જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ ગુજરાતના આદિવાસી જિલ્લા છોટા ઉદેપુરમાં નદી તરીને શાળાએ જતા બાળકોની ઘટના મુદ્દે આપવામાં આવી છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની દલીલ છે કે દરેક બાળકને સુરક્ષિત શિક્ષણનો અધિકાર છે. ગયા મહિના વિવિધ મીડિયા જૂથો દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના એક અતંરિયાળ ગામનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જેમાં ગામના બાળકો શાળાએ જવા માટે નજીકમાં આવેલી નદીને બોઘેણાં જેવા વાસણની મદદથી ઓળંગીને નિશાળ જાય છે.
છોડા ઉદેપુર જિલ્લાના પાંચ ગામની શાળા બાય રોડ 20 કિલોમીટરના અંતરે છે. આથી બાળકોને નદી ઓળંગવાની ફરજ પડે છે તેવી દલીલ ગામવાસીઓની છે. આ દરમિયાન બાળકોના વાલીઓ અને પરિવારો કાંઠે ઉભા રહી તેમના બાળકોને જોઈ રહે છે. આ કારણે રોજ પાંચ ગામના અંદાજે 125 બાળકો હિરણ નદી તરીને પાર કરે છે અને નર્મદા જિલ્લામાં આવેલી શાળાએ ભણવા માટે પહોંચે છે.
ગામના લોકો છેલ્લા ઘણાં સમયથી આ નદી પર પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે. સમાચાર પ્રકાશિત થયા બાદ સ્થાનિક વહીવટી પ્રસાશને અહીં બ્રીજ બનાવવાની બાહેંધરી પણ આપી હતી.
આ સંદર્ભમાં ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે.