ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
સૌરાષ્ટ્રમાં હજીય જીવંત છે બાલિકા ગરબી પ્રથા, તસવીરોમાં જાણો
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
નર્મદા જિલ્લામાં પશુઓના સંરક્ષણ માટે નાઇટ વિઝન કેમેરા લગાવાશે
નર્મદા જિલ્લામાં વ્યાપક વન્ય સૃષ્ટિ ફેલાયેલી છે. આથી શૂલપાણેશ્વર, સાગબારા, પીપલોદમાં વન્ય સૃષ્ટિનો અભ્યાસ કરવા માટે નાઇટ વિઝન કેમેરા મૂકવાનો તંત્રએ નિર્ણય લીધો છે. નર્મદા જિલ્લાનાં વન વિસ્તારમાં વન્ય સૃષ્ટિનાં અભ્યાસ અર્થે નવેમ્બરથી જુન સુધી નાઇટ વિઝનનાં 100 કેમેરા મૂકવામાં આવશે. શુલપાણેશ્વર, સગાઇ, ગોરા, ફૂલસર, પીપલોદ, રાજપીપળા, સાગબારા વન વિસ્તારમાં વિહરતા વન્ય જીવોનો 8 મહિનામાં એકત્ર થયેલ ડેટા આવનાર વર્ષોમાં ઘણો ઉપયોગી થશે. નર્મદા જિલ્લામાં 43 ટકા વનવિસ્તાર આવેલો છે. જંગલોમાં રહેલા વિવિધ વન્યજીવો, પશુ-પંખીઓ અને લુપ્ત થતી પ્રજાતિઓ તેમજ નવી પ્રજાતિઓને શોધી કાઢવા તેમજ તેમના અભ્યાસ માટે જિલ્લાનું વનખાતુ દિવાળી બાદ 100 કેમેરા ટ્રેપ જંગલોમાં મૂકવા જઇ રહ્યું છે.
ઓખામાં મળી આવેલી મહિલાના પરિવારજનો હજી નથી આવ્યા
ઓખામાં મકડાયેલી શંકાસ્પદ મુસ્લિમ મહિલા માનસિક રોગી હોવાનુ જાહેર થયા બાદ પોલીસ તેના પરિવારની વિગતો મેળવી હતી. આ મહિલાનું નામ તેણે ઉમ્મે શમસુદિન કુલસૂમ જણાવ્યું છે જે. મૂળ યુપીના જોનપુર જિલ્લાની રહેવાસી હોય અને ડિપ્રેશનના કારણે છેલ્લા 6 મહિનાથી તેના ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે હજી પણ તેના પરિવારજનો તેને લેવા આવ્યા ન હોવાથી મહિલાને પોલીસ સ્ટાફે જ આશરો આપેલો છે. ઉલ્લેખનીય છે કે ઓખા રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન પર ગત શુક્રવારે ચેકિંગ કાર્યવાહી દરમિયાન અમદાવાદ-ઓખા પેસેંજર ટ્રેનમાં આવેલી એક મુસ્લિમ મહિલાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કર્યા બાદ તેની તપાસી લેતા તેની પાસે રહેલા સામાન માંથી પોલીસને એક બૂકમાં હાથેથી દોરેલા ટાટા કેમિકલ સહિતના નકશા મળી આવ્યા હતા.
કેજરીવાલના પોસ્ટર પર કાળા કૂચડા મરાયા, ભાજપ સામે ચિંધાઈ આંગળી
સુરતમાં યોગી ચોક ખાતે આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરસભા યોજાઈ રહી છે. ત્યારે શહેરમાં તેમના સ્વાગતની તૈયારીઓ રૂપે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પરંતુ હવે આ પોસ્ટર પર કાળા કૂટડા ફેરવી દેવામાં આવ્યા છે અને પોસ્ટ પર ગદ્દાર, આતંકી જેવા લખાણો ચિતરવામાં આવ્યા છે. સુરતના વરાછાના વિવિધ વિસ્તારોમાં પણ આ રીતે કૂચડો મારેલા પોસ્ટર જોવા મળ્યા હતા. આ ઘટના પાછળ આપ પાર્ટી ભાજપનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ભાજપે આ ઘટનામાં હાથ ઉંચા કરી દીધા છે.
બનાસકાંઠમાં ઝડપાયેલો શંકાસ્પદ ઝારખંડનો હોવાનું ખૂલ્યું
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાંથી પોલીસ તપાસ સઘન બનાવતા વધુ એક શંકાસ્પદ આધેડ પકડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ભારત-પાક સીમાને અડીને આવેલા વાવ તાલુકાના લોદ્રાણી ગામ નજીકથી ઝડપાયો હતો. હવે માલૂમ પડ્યું છે કે આ આધેડ ઝારખંડનો રહેવાસી છે અને તેની ઉંમર આશરે 50 વર્ષની છે પોલીસે કરેલી તપાસમાં તેનું નામ સુકેન્દ્રસિંહ શગુનસિંહ કહરી હોવાનું જણાવ્યું હતું. મૂળ ઝારખંડ રાજ્યના કલામું જિલ્લાના ટરીયા ગામનો છે આ આધેડ પાસેથી માત્ર ભારતીય ચલણના 100 રૂપિયા મળી આવ્યા હતા.
''બાળુડાના ગરબા''માં ગરબે ઘૂમ્યા દિવ્યાંગ
સામાન્ય માણસો તો ગરબે ઘૂમવાની મોજ માણતા હોય છે પરંતુ જે લોકો દિવ્યાંગ અથવા તો સ્પેશ્યલ ચાઇલ્ડ છે તે લોકો માટે ગાંધીનગરમાં ખાસ બાળુડાના ગરબાનું આયોજન થાય છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી બાળુડાના ગરબા ખૂબ લોકપ્રિય પણ બન્યા છે. આ વખતે પણ બાળુડાઓ માટે ખાસ ગરબાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં વિશિષ્ટ વ્યક્તિઓને સમાજની નજદીક લાવવાના આ પ્રયાસમાં માનવસ્મૃતિ શાળા, સરગાસણ, સમર્પણ મૂક-બધિર શાળા, સેક્ટર-૨૮, અંધ શાળા, સેક્ટર-૧૬, સદ્ભાવ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સેક્ટર-૧૩, સ્મૃતિવિકાસ શાળા, પ્રાંતિયા, હેત ફાઉન્ડેશન, સૅક્ટર-૭, સંવેદન, સેક્ટર-૬ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વસતા વિશિષ્ટ વ્યક્તિઓ, તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ફોટા જોઇને તમને પણ સમજાશે કે તહેવારનો આનંદ તો દરેક માનવીના મન માટે એકસમાન જ હોય છે.
સગીરાને મધરાત્રે ઉઠાવી જઈ આચર્યું દુષ્કર્મ
હિંમતનગરના ખેડબ્રહ્મા પાસે આવેલા લાંબડિયામાં 12 વર્ષીય સગીરાને બાઇક પર ઉઠાવી જવામાં આવી હતી અને તેની પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં સગીરાની સારવાર હિંમતનગર ખાતે ચાલી રહી છે. સગીરા ખૂબ નબળી માનસિક પરિસ્થિતિમાં હોવાથી આરોપીઓ વિશે કોઈ માહિતી આપી શકી નથી. અને આ દુર્ઘટનાના આઘાતને કારણે તે વારંવાર બેભાન થઈ જતી હોવાથી પોલીસ પૂછપરછ યોગ્ય રીતે થઈ શકતી નથી. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા ગરબા ગાઇને ઘેર આવ્યા બાદ શૌચાલયમાં ગઈ હતી. જેવી તે શૌચાલયમાંથી બહાર નીકલી ત્યારે તેને આંખે પાટા બાંધી અને મોં દબાવીને બાઇક ઉપર ખેંચીને બેસાડી દેવામાં આવી હતી ત્યાર બાદ નરાધમોએ નિર્જન સ્થળે લઈ જઈ સગીરા પર બળાત્કરા ગુજાર્યો હતો અને આંખે પાટા બાંધેલી પરિસ્થિતિમાં જ સગીરાને ઘર પાસે મૂકીને નાસી ગયા હતા.