ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
મગફળીના ખેડૂતો માટે સારા ખબર, અમિત શાહની દિવાળી અને સાતમુ પગારપંચ મામલે વિરોધ, આ તમામ ખબરો વિષે વધુ વાંચો આ આર્ટીકલમાં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
મગફળીના ટેકાના ભાવ માટે કૃષિ મંત્રી ચીમન સાપરિયાની જાહેરાત
મગફળીના ઓછા ભાવના મુદ્દે ચિંતાગ્રસ્ત ખેડૂતો માટે રાજ્યના કૃષિ પ્રધાન ચીમન સાપરિયાએ ટેકાના ભાવ નક્કી કરવાની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકારની મદદથી ટેકાના ભાવે નોડલ એજન્સીઓ સેન્ટર પરથી ખરીદી કરશે અને તેના માટે રૂપિયા 100 કરોડની ફાળવણી પણ કરવામાં આવશે. આ માટે રાજ્યમાં 50થી વધુ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર ઉભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં મગફળીના મબલખ ઉત્પાદની થવા છતાં મગફળીના ભાવ સાવ તળિયે જતા ખેડૂતો ચિંતિત થયા હતા. અને વિવિધ એપીએમસી ખાતે ચક્કાજામ કરી મગફળીનો સ્ટોક ઠાલવીને રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ગઈકાલે કિસાન સંઘે પણ ખેડૂતોના આ વિરોધને ટેકો આપ્યો હતો અને હવે સરકારે પણ ખેડૂતોની પડખે રહેતા મગફળીના ટેકાના ભાવ સરકાર નક્કી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અમિત શાહની આજથી ગુજરાત મુલાકાતથી ભાજપમાં ધમધમાટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતને મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ મુલાકાત આગામી ચૂંટણી સંદર્ભે મહત્વની ગણાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આમ તો ગુજરાતમાં તેમના ઘરે દિવાળી ઉજવવા આવશે પણ તેમની આ મુલાકાત પણ રાજકીય વધુ છે. તે તેમની આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના હોદ્દેદારો સાથે ચર્ચા કરી ચૂંટણીની એક ખાસ રણનીતિ ઘડાશે. મહત્વનું છે કે સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભાજપ ફ્રન્ટફૂટ પર છે. તેથી એવી શક્યતા છે કે સર્જિકલ સ્ટ્રાઈકને રાષ્ટ્રવાદ સાથે જોડીને ભાજપ તે મુદ્દાને ચૂંટણી પ્રચાર સાથે જોડીને આગળ વધશે.
માંડવીમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી
કચ્છના માંડવીમાં બાવળની ઝાડીમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના માથાના ભાગે ઇજાના ત્રણ નિશાન પણ જોવા મળ્યા હતા. આ બાળકી અધૂરા મહિને જન્મેલી હોય તેવી લાગતી હતી. બાળકીને જંતુઓ કરડી જતા તેના શરીર પર લોહીના ટશિયા ફૂટિ આવ્યા હતા. માંડવી શહેરના શારદા મેડિકલની સામે રૂકમાવતી પૂલ નીચે બાવળની ઝાડીમાં આ બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. તેના મૃતશરીરને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું. ત્યાં તબીબોની ટીમે જણાવ્યું હતું કે આ બાળકી એક-બે દિવસ પહેલાં જન્મી છે.
સાતમું પગારપંચ ન મળતા, વાઇબ્રન્ટ સમિટનો વિરોધ
ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ, સરકારી સાહસોનુ કર્મચારી મહામંડળ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને મહામંડળ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કર્યો હતો. કર્મચારીઓનું કહેવું હતું કે તેમના સાતમા પગાર પંચનો અમલ નહીં થાય તો તેઓ વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે. રાજ્યમાં સાતમાં પગાર પંચનો અમલ થઇ ગયો છે. સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળતો પણ થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને હજુ સુધી પગાર મળતો નથી. તે માટે કર્મચારીઓએ દેખાઓ કર્યો હતો.