#Gunotsav :CM રૂપાણીએ કરી બારડોલીની શાળાની મુલાકાત
ગુણોત્સવનો બીજો દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી બારડોલીની શાળાની મુલાકાત. વધુ વાંચો અહીં.
ગુણોત્સવના બીજા દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બારડોલી તાલુકાની શાળાની મુલાકાત લીધી હતી. આફવા પ્રાથમિક શાળા ખાતે તેમણે બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણના સ્તરમાં ગુણાત્મક પરિવર્તન આવે તેવા આશયથી ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે.
સમગ્ર મંત્રી મંડળના પદાધિકારીઓ, અધિકારીઓ ગામડાની શાળાની પ્રાથમિક સુવિધાઓ લેખન, વાંચન વાંચન તેમજ બાળકોના અભ્યાસને લગતી જાત માહિતી મેળવે તેવું પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં E અને D ની કેટેગરી બંધ થઇ ચૂકી છે. જ્યારે C માંથી B માં જવાના પ્રયત્નો શરૂ છે. ગુણોત્સવના પરિણામે A તથા A+ શાળાઓમાં વધારો થઇ રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
નોંધનીય છે કે સોમવારથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ૩૪ હજાર ઉપરાંત પ્રાથમિક શાળાઓના પ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ મૂલ્યાંકનના અભિયાન, "સાતમા ગુણોત્સવ"નો રાજ્યવ્યાપી પ્રારંભ ચોટીલાની કાળાસર પ્રાથમિક શાળાથી કરાવ્યો હતો.
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાની કાળાસર પ્રાથમિક શાળામાં પહોચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થનામાં સહભાગી થઇ ૩૧૬ બાળકો સાથે વિવિધ વર્ગખંડમાં જઇને રસપ્રદ પ્રશ્નોત્તરી સંવાદ સાધ્યો હતો. સાથે જ તેમણે બાળકો સાથે શાળા સંકુલમાં બેસીને ભોજન પણ લીધુ હતું.