PM મોદી જે ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે તે કાર્યક્રમની 5 ખાસ વાતો
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમ અંગે કેટલાક રસપ્રદ અને રોચક તથ્યો વાંચો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસા ખાતે બનાસ ડેરીના 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ચીઝ અને વ્હે પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. સાથે જ બનાસકાંઠા માટે અનેક લોકકલ્યાણ યોજનાઓની જાહેરાત કરશે તેવી પણ સંભાવના છે. નોંધનીય છે આ સાથે જ બનાસકાંઠા પહેલો કેસલેશ જિલ્લા બને તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રકારે કરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા
નોટબંધીની જાહેરાત બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતની કેટલીક ખાસ વાતો જાણો અહીં....
મોદી પાંચમી વાર ગુજરાતમાં
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પાંચમી વાર ગુજરાતની મુલાકાતે છે. 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની વારંવાર મુલાકાતો કરી રહ્યા છે. અને તેની અસર હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ભાજપની જીતમાં પણ જોવા મળી હતી.
નોટબંધી બાદ પહેલી વાર
જો કે પીએમ મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા પછી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે. ત્યારે હાલ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લો વડાપ્રધાનને આવકારવા માટે ઉત્સાહિત છે.
28 વર્ષ બાદ બનાસકાંઠામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 વર્ષ પછી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસડેરીના આ ચીઝ પ્લાન્ટના ઉદ્ધાટનથી બનાસકાંઠામાં રોજગારીની તકો વધશે અને ખેડૂતો અને પશુપાલકો પણ આર્થિક રીતે સદ્ધર થશે.
મોટા કટઆઉટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચીને 11 વાગે ડીસાના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉપસ્થિત રહેશે ત્યારે ડીસામાં મોદી જે જનસભાને સંબોધવાના છે તે માટે મોદીના મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ચીઝ પ્લાન્ટ
350 કરોડના ખર્ચે બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીઝ પ્લાન્ટનું વડાપ્રધાન ઉદ્ધાટન કરશે. સાથે જ કાંકરેજ ગાય એ-2 અમૂલ પ્રોજેક્ટ, બનાસ ડેરીના મધનું પણ લોન્ચિંગ મોદી દ્વારા કરવામાં આવશે. વધુમાં સ્વ.ગલબાભાઇ નાનજીભાઇ પટેલની જન્મ શતાબ્દીની પણ ઉજવણી કરવામાં આવશે.