અમદાવાદમાં બોલ્યા મોદી: ગૌરક્ષાને નામ થતી હિંસા અસ્વીકાર્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાત પર છે. આ દરમિયાન તે અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે.
પીએમ નરેન્દ્ર મોદી આજે 12મી વખત વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તારીખ 29 અને 30 જૂનના રોજ મોદી અમદાવાદ અને રાજકોટની મુલાકાતે લેશે. ગુરુવારે સવારે 11 વાગે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં તેમનું સ્વાગત સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યું હતું. અમદાવાદથી બપોરે 3 વાગ્યે પીએમ રાજકોટ જવા રવાના થશે. રાજકોટના આજી ડેમ ખાતે સૌની યોજનાના ઉદઘાટન સહિત પીએમ મોદી ભવ્ય રોડ શો સમેત, મૂક બધિરો દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાના કાર્યક્રમ અને દિવ્યાંગોના સાધન વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદમાં વડાપ્રધાન સાબરમતી આશ્રમ હદયકુંજની મુલાકાત લીધી હતી અનેે ત્યાંની નોંધપોથીમાં પોતાના અનુભવ ટાંક્યા હતા. અહીં પીએમ મોદીએ સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ્દ રાજચંદ્રજીની 150મી જયંતિની ઉજવણી પ્રસંગે સ્મારક સિક્કા તથા ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આજે રાજચંદ્રજીની 150મી જન્મજયંતી નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો હતો.
ગૌરક્ષકોને પીએમની સલાહ
ગૌશાળા મેદાનમાં જનતાનું સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગાયની રક્ષા કે ભક્તિ કરવી હોય તો એનો માર્ગ મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેએ બતાવ્યો છે, એ રસ્તે ચાલવામાં જ દેશનું કલ્યાણ છે. ગૌરક્ષાના નામે હિંસા થવી યોગ્ય નથી. કોઇ હોસ્પિટલમાં દર્દીનું અવસાન થાય તો શું તમે હોસ્પિટલને આગ ચાંપશો? આપણે અહિંસાના રસ્તે ચાલવાનું છે. ગૌભક્તિના નામે લોકોને મારવા એ સ્વીકાર્ય નથી.
કાયદો કરશે કામ
'આપણો દેશ અહિંસાનો દેશ છે. આપણે કેમ ભૂલી જઇએ છીએ કે, આ મહાત્મા ગાંધીની ભૂમિ છે? ગાયની રક્ષાને નામે બીજાને મારવા બિલકુલ અયોગ્ય છે, કાયદો પોતાનું કામ કરશે, કોઇને કાયદો પોતના હાથમાં લેવાનો અધિકાર નથી. ગાંધીજીના વિચારોમાં આજની વૈશ્વિક સમસ્યાઓ સામે લડવાની શક્તિ છે.'
નોંધનીય છે કે, પીએમ મોદીના સ્વાગત માટે અમદાવાદ અને રાજકોટને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે, પીએમની સુરક્ષાને લઇને ચાંપતી નજર સુરક્ષાકર્મીઓ દ્વારા રાખવામાં આવી રહી છે. પીએમની મુલાકાત પહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રૂબરૂ જઇને પીએમ જે સ્થળોની મુલાકાત લેવાના છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાની પીએમ મોદીની આ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વની સાબિત થશે.