PMની રાજકોટ મુલાકાતઃ તાડમાર તૈયારીઓ, સુરક્ષા કવાયત શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં કરવા 29 જૂને રાજકોટ આવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુનના રોજ રાજકોટ આવી રહ્યાં છે, આથી ગુજરાત સરકારે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઇ કવાયત શરૂ કરી દીધી છે. વડાપ્રધાનની ઝેડ પ્લસ સિક્યોરીટી માટે SPGના 60 કમાન્ડો અને બંદોબસ્ત માટે કમીશનર કામે લાગ્યા છે. 3 આઈજી સહીત 27 IPS અધિકારી, 65 DYSP, 150 પી.આઈ, 500 જેટલા પી.એસ.આઈ અને SRPની 15 કંપની સહીત કુલ 8 હજાર જવાનો વડાપ્રધાન સુરક્ષા માટે ખડેપગે હાજર રહેશે. સમગ્ર બંદોબસ્તની જવાબદારી 3 IPS અધિકારીઓને સોંપવામાં આવી છે. સુરક્ષા માટેના જવાનો મંગળવારના જે-તે જિલ્લામાંથી રવાના થઇ રાજકોટ પહોંચશે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ખાતે આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં માટે આગામી 29 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના રાજકોટની મુલાકાતે આવશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજી ડેમથી એરપોર્ટ સુધી પીએમ મોદીનો રોડ શો યોજશે. આ અગાઉ જ્યારે વડાપ્રધાન સુરત આવ્યા હતા ત્યારે પણ ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે રાજકોટમાં રોડ શોની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કાર્યકરોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની વધુ મુલાકાતો લઇ રહ્યાં છે.