બેલ્જિયમનું અર્થતંત્ર પાલનપુરના બિઝનેસમેન ચલાવે છે : રાહુલ ગાંધી
ખીચોખીચ ભરેલા મેદાનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે "બે ત્રણ દિવસ પહેલા જ્યારે હું ગુજરાત આવી રહ્યો હતો અને પ્લેનમાં બેઠો હતો, ત્યારે મેં વિચાર્યું કે હું જે ગુજરાતમાં ભાષણ કરવા જઇ રહ્યો છું તે ગુજરાતે મને શું આપ્યું. મારા મનમાં જે આવ્યું એ હું તમને કહેવા જઇ રહ્યો છું. ગુજરાતે તમને શું આપ્યું એ તમે કહી શકો છો?"
તેમણે જણાવ્યું કે "હું જ્યારે નાનો હતો અને મારા પપ્પા તથા દાદી સાથે જમવા બેસતો ત્યારે આઝાદીની લડાઇ અંગે વાતો થતી હતી. તેમાં ગાંધીજી સાથે વાતચીત ચાલતી હતી. મારા પરદાદા મોતીલાલ નહેરૂ જ્યારે અલ્હાબાદમાં ગાંધીજીના રૂમ પાસેથી પસાર થયા અને તેમને ભોંય પર ઉંઘતા જોઇને ગાંધીજીને કહ્યું કે અહીં શા માટે ઉંઘો છો ત્યારે કહ્યું કે જ્યાં સુધી લોકો આવી રીતે રહેશે ત્યાં સુધી હું તેમ કરીશ."
મને જ્યારે રાજકારણમાં માર્ગ નથી મળતો ત્યારે ગાંધીજીના પુસ્તકો વાંચીને તેમાંથી માર્ગ મેળવું છું. રાજકારણના નિયમો છે. તેનું પાલન કરો તો તેનાથી સરળ કામ કોઇ નથી. નિયમ એ છે કે દરેક અવાજને સાંભળો અને ગમે તેટલા નબળા અવાજને દેશની પ્રગતિમાં સામેલ કરો.
મને નહીં દરેક યુવાનને સંદેશ છે કે રાજકારણમાં જવું હોય તો જનતાની વચ્ચે જાવ, તેમના સપનાને સમજો, તેમના સપનાને પૂરાં કરો. ગાંધીજીએ આ નિયમ આજીવન પાળ્યો હતો. તેમના આશ્રમમાં જશો તો ચશ્મા, ગીતા. ચરખો અને પુસ્તકો મળશે. ત્યારે પૈસાને મહત્વ ન હતું. વિચારોનું મહત્વ હતું.
હું આ વાત એટલે કરું છું કે ગુજરાતમાં સામાન્ય માણસના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. ગરીબ માણસને દબાવવામાં આવી રહ્યો છે. બેલ્જિયમનું નામ સાંભળ્યું છે. તેના અર્થતંત્રને કોણ ચલાવે છે? ગુજરાતનો નાનકડો બિઝનેસમેન તેના અર્થતંત્રને ચલાવે છે. પાલનપુરનો નાનકડો બિઝનેસમેન તેને ચલાવે છે. અહીં નબળા લોકોનું સાંભળવામાં આવતું નથી. એક અવાજ સંભળાય છે. તેઓ માને છે કે એ જ સાચા છે.
તમારી પાસે મોબાઇલ છે? આ મોબાઇલ રાજીવ ગાંધીજીની દેન છે. તેમણે સામ પિત્રોડા સાથે મળીને ક્રાંતિ સર્જી છે. સામ પિત્રોડા ગુજરાતના છે. તેઓ નાના બિઝનેસમેન છે. કામ તમે કરો, પરસેવો તમે પાડો અને ગુજરાતને ચલાવે છે માત્ર એક વ્યક્તિ. આ વ્યક્તિને બધું જ જ્ઞાન છે. એકલા હાથે તેઓ ગુજરાત ચલાવે છે. તેઓ એકલા હાથે ગુજરાતનો કારભાર ચલાવે છે.
મને એમ કહો કે અહીં પાણી કેટલું મળે છ?, ખેડૂતોને કેટલું પાણી મળે છે? યુવાનોને કેટલી રોજગારી મળે છે? મને તો કહેવામાં આવ્યું કે ગુજરાત ચમકે છે. રાજકારણીનું સપનું સામાન્ય માણસના સપનાને સાકાર કરવાનું હોય છે. અહીં પોતાના અને બે-ત્રણ માનીતા ઉદ્યોગપતિઓના સપનાંને પૂરું કરવાનું કામ થાય છે.
ગુજરાતમાં પ્રગતિની વાત થાય છે પણ પાણીમાં કેટલું ક્લોરાઇડ, નાઇટ્રોજન આપે છે. અમે દિલ્હીમાં મજૂરોને રોજગારની ગેરંટી આપી છે. અમે દરેક હિન્દુસ્તાનીને મનરેગા અંતર્ગત રોજગાર આપવાનો પ્રયાસ કર્યો છે.