ગુજરાત વિધાનસભામાં શંકરસિંહના અપમાન મુદ્દે સૌરભ પટેલે આપી સ્પષ્ટતા
ગાંધીનગર, 17 જુલાઇ : ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના કહેવાતા અપમાન મુદ્દે આજે રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલે સ્પષ્ટતા કરી હતી. પોતાની સ્પષ્ટતામાં નાણાપ્રધાન સૌરભ પટેલે કહ્યું કે તેમનો આશય શંકરસિંહ વાઘેલાનું અપમાન કરવાનો ન હતો.
આ વિવાદ બાદ વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાએ આ મુદ્દે ગૃહમાં અયોગ્ય શબ્દોનો પ્રયોગ નહીં કરવા ટકોર કરતા આ મામલો છેવટે રફેદફે થયો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે સૌરભ પટેલના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો હતો.
મહત્વનું છે કે અગાઉ મળેલા વિધાનસભા સત્રમાં નાણાપ્રધાન સૌરભ પટેલે આક્રમક રીતે અને અસમ્માનિય રીતે ઉચ્ચારણો કર્યા હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો હતો. જેના વિરોધમાં કોંગ્રેસે 26 જુલાઈથી સૌરભ પટેલ અને વન પ્રધાન બાબુ બોખિરિયા સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી.
આ મુદ્દે સૌરભ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે 'હું વર્ષોથી ગૃહનો સભ્ય છું, મે ક્યારેક કોઈ સભ્યનું અપમાન કર્યું નથી. મારો આશય વિપક્ષના નેતાનું અપમાન કરવાનો ન હતો.'
વિધાનસભા સ્પીકર વજુભાઈ વાળાએ પણ આ મુદ્દે સભ્યોને જાળવીને બોલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ગઇકાલનું રેકોર્ડિંગ મેં સાંભળ્યું છે અને ત્રણ જેટલી વાંધાજનક બાબતો રેકોર્ડ પરથી દૂર કરવાનું સૂચન તેમણે કર્યું છે.
નોંધનીય છે કે ગઇકાલે જ્યારે સૌરભ પટેલ વિધાનસભા ગૃહમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
આ મુદ્દે સૌરભ પટેલે ગૃહના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી કે 'તેઓ(વાઘેલા) વિપક્ષના નેતા છે તો શું થયું? હું બોલી રહ્યો છું ત્યારે તેમને હસ્તક્ષેપ શા માટે કરવા દેવામાં આવ્યો?. જ્યારે વિરોધ પક્ષના સભ્યો બોલી રહ્યા હોય ત્યારે હું વિક્ષેપ નથી પહોંચાડતો.'
સૌરભ પટેલના આ નિવેદનને વિપક્ષના નેતાનું અપમાન ગણાવીને આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ પટેલને માફી માંગવા જણાવ્યું હતું. ત્યાર બાદ અધ્યક્ષે આ મામલે તપાસ કરવાની ખાતરી વિપક્ષને આપી હતી.