ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અંકલેશ્વરમાં જેસીબીએ બાઇક સવારને લીધો હડફેટે
અંકલેશ્વર- ભરૂચને જોડાતા નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા સરદાર બ્રિજ પર જેસીબી ચાલકે ખોટી રીતે મશીન ચલાવતા બાઇક ચાલકનો ભોગ લેવાયો હતો. અંકલેશ્વરના માંડવા ગામના રહીશ હેમંતભાઈ રમણ ભાઈ પટેલ પોતાની મોટર સાઈકલ જી.જે. 16 એ.ડી.8030 લઈને ઝગડીયા તેમના મિત્ર હસમુખભાઈ સાથે ભરૂચ જઈ રહ્યા હતા. તે દરમિયાન જી.જે. 15. બી.બી.2287 નંબર ના જે.સી.બી ચાલકે ખોટી રીતે મશીન ચલાવતા હેમંતભાઈ પટેલની મોટર સાઇકલને અડફેટેમાં લીધી હતી. જેના પગલે આગળ ચાલી રહેલા અન્ય એક ડમ્ફર સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે હેમંતભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેસીબી ચાલક ઘટન બાદ ફરાર થઈ ગયો હતો.
વલસાડ -વાપીમાં ભારે વરસાદ
વલસાડ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 થી છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉમરગામમાં ધોધમાર 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે વાપી દમણ રોડ પર પાણી ભરાઇ ગયા હતા. બે દિવસથી આકાશ વાદળછાયું રહેતા ભારે ઠંડક પ્રસરી ગઇ હતી. વળી નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ જતા અને અમુક વિસ્તારમાં વીજપુરવઠો ગુલ થતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું.
અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદ
અમદાવાદમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડ્યો હતો. બાપુનગરમાં ભારે પવન સાથે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારો જેવા કે એસજી હાઇ વે, વસ્ત્રાપુર,સેટેલાઇટ, જીવરાજ પાર્ક,વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી હતી. ઘાટલોડિયા.,નારણપુરા નવા વાડજ સમેત પૂર્વ વિસ્તારમાં મણિનગર,ઘોડાસર પણ વરસાદે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું હતું.
પાટીદાર સ્વાભિમાન યાત્રાને ન મળ્યો ધાર્યો પ્રતિસાદ
બુધવારે પાટીદારો દ્વારા આયોજિત કરવામાં આવેલી સ્વાભિમાન યાત્રાને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો હતો. આ પદયાત્રામાં હાજરી આપવા માટે જઈ રહેલા રેશ્મા પટેલ, વરુણ પટેલ અને અતુલ પટેલ સહિત 70થી વધુ પાટીદારોની વિજાપુર પોલીસે અટકાયત હતી. વિજાપુરમાં "જય સરદાર - જય પાટીદાર"ના નારા લગાવતા જ પાસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની અટકાયત પોલીસે કરી હતી. ત્યારે લોકોની પાંખી હાજરી શું પાસના વળતા પાણીનું એધાંણ છે?
વ્યાજખોરના ત્રાસથી લારી ચાલક આધેડનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી રાજકોટ શહેરના ઘનશ્યામનગરમાં રહેતા અને લારી રાખી ધંધો કરતા મહેશભાઈ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે. તેમણે વ્યાજે નાણાં લીધા હતા. જ્યારે તે આ રકમ સમયસર ચૂકવી ન શકતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને અવારનવાર ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેના કારણે મહેશભાઈએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. ત્યારે મૃતક મહેશભાઈના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ કમિશ્નર કચેરી પહોચ્યા હતા અને વ્યાજખોરો સામે પગલાં લેવાની માગણી કરી હતી.જેના લીઘે કચેરી ખાતે ભારે હોબાળો મચ્યો હતો.
પકડાઈ ગયા અમદાવાદના બહુરૂપિયા, દિવસે મજૂર રાત્રે ચોર
ભરૂચ તેમજ જુદી જુદી જગ્યાએ કડિયાકામની મજૂરીની આડમાં જગ્યાની રેકી કરી ચોરી કરતી અમદાવાદની ચોર ટોળકી ઝડપાઈ ગઈ છે. પકડાયેલા આરોપીઓ, સગીર આરોપીઓની મદદથી ચોરીના કરતા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના ઝાડેશ્વર તવારા રોડ પર આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી રૂપિયા ૧૦ હજારના માલમત્તાની ચોરી ફરાર થઇ ગયા હતા. આ સમયે નજીકમાં રહેતા રમેશભાઈ નામના વ્યક્તિએ ચોરની શંકા જતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ભરૂચ સી ડીવીઝન પોલીસે ચાર ઇસમોને ઝડપ્યા હતા. પોલીસે તેઓની અટકાયત કરતા તેઓએ ચોરીના ગુનો કબુલ્યો હતો.