ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
મુંબઇમાં દેખાયેલા સંદિગ્ધનો સ્કેચ કરાયો જાહેર
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
જન્મદિવસના આગલા દિવસે જ બાઇકે યુવાનનો લીધો ભોગ
વડોદરાના માંજલુપરમાં રહેતા મિતેશના જન્મદિવસના દિવસે જ તે મોતને વ્હાલો થઇ ગયો. અને તે માટે જવાબદાર નીકળી મોતના આગલા દિવસે ખરીદેલી મોંધી બાઇક. મિતેશનો બર્થ ડે હોવાથી તે મિત્રોને ઢાબામાં પાર્ટી આપવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતો હતો ત્યારે રાત્રે 10:30 વાગ્યાની માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસે રોડ પર તેની બાઇક GJ6 JC 6532 યામાહા R15 ડિવાઇડર સાથે અથડાઇ હતી. અને મિતેશ ઘાયલ થયો હતો. મિતેશની પાછળ બાઇક પર આવતા મિત્રો ઘાયલ મિતેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મિતેશનું મોત થયું હતું.
બોચાસણમાં ઉજવાશે પૂજ્ય મહંત સ્વામીનો જન્મદિવસ
બીએપીસએસના નવા આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામીનો તિથી પ્રમાણે 24 સપ્ટેમ્બરના રોજ 84મો જન્મદિવસ છે ત્યારે બીએપીએસના ભક્તોએ પૂજ્ય સ્વામીશ્રીના જન્મદિવસને ભક્તિસભર રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. બોચાસણ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વેદજ્ઞ સ્વામીના જણાવ્યા મુજબ તેમના જન્મદિનની ઉજવણીમાં બ્રહ્મલિન પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં વંદના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
વલસાડમાં ડી. જી વણઝારાના સ્વાગતની તડામાર તૈયારી
અમદાવાદનાં નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાનુ 25 સપ્ટેમ્બરે વલસાડ ખાતે જાહેર નાગરિક સન્માન સમિતિ દ્વારા સન્માન થવાનું છે. જેને પગલે જિલ્લાનાં રાજકારણમાં ઉથલપાથલ નજરે પડી છે અને રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ વણઝારાના સ્વાગતની તડામાર તૈયારીઓ પણ જોવા મળી રહી છે. આ સમિતિના સભ્ય ભાજપના માજી ધારાસભ્ય હિરાભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ડી જી વણઝારાના સન્માન સમારોહમાં વિવિધ સમાજોનાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
સસ્તી દવા માટે રાજ્યમાં 100થી વધુ જેનરિક સ્ટોર
રાજ્યના નાગરીકોને સસ્તી દવા મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરતા આગામી દિવસોમાં 100 થી વધુ જેનેરીક સ્ટોર શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારનો દાવો છે કે પ્રથમ તબક્કામાં 500 થી વધુ દવાઓ 100 જેટલા જેનેરીક સ્ટોરમાં ઉપલબ્ધ કરાવાશે. જેથી કરીને નાગરીકોને દવાઓ સસ્તા દરે મળી રહે. ત્યારબાદ બીજા તબક્કામાં 1000 થી વધુ દવાઓનો સમાવેશ કરાશે. હાલ આ માટે આરોગ્યવિભાગ કામગીરી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો અમલ પણ કરાશે તેવો રાજ્ય આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ દાવો કર્યો હતો.
સંતો-મહંતો સહિત નાગરિકોએ આપી શહિદોને શ્રદ્ધાંજલિ
ભાવનગર શહેરમાં ગત સાંજે ઉરી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતે સંતો-મહંતોએ મહાત્મા ગાંધીજીની પ્રતીમાને પુષ્પાંજલિ કર્યા બાદ પદયાત્રા યોજી હતી અને તેમાં પૂ.હરીચરણદાસજી મહારાજ, પૂ.સ્વરૂપાનંદ સરસ્વતી, પૂ.વિષ્ણુસ્વામી, પૂ.રમજુબાપુ, પૂ.નીરૂબાપુ, પૂ.જીણારામ બાપુ, પૂ.કે.પી.સ્વામી, પૂ.રામકૃષ્ણશાસ્ત્રીજી, પૂ.લલિત કિશોરદાસજી, પૂ.ગોપાલદાસજી સહિતના સંતો અને મહંતો જોડાયા હતા. અને મશાલ યાત્રા નીકાળી હતી.