શુભેચ્છા પાઠવવાના નામે શંકર સિંહે કોંગ્રેસને આમ સંભળાવ્યું
શંકર સિંહ વાઘેલાએ આપી અહમદ પટેલને જીતની શુભેચ્છાઓ. સાથે જ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. જાણો આ ખબર વિષે વિગતવાર અહીં.
ગુરુવારે, કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ અહમદ પટેલની જીત પછી તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જે અહમદ પટેલને તેમણે વોટ નહતો આપ્યો તેમના અંગે બોલતા બાપુએ કહ્યું હતું કે પટેલ અને અમારો સંબંધ છે અને રહેશે. જો કે આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની જાટકણી નીકાળવાનો એક મોકો નહતો છોડ્યો. કોંગ્રેસ પર એક પછી એક આક્ષેપ કરતા શંકર સિંહે કહ્યું કે જો જીત આટલી જ સરળ હતી તો પછી કોંગ્રેસે કેમ તેમના ધારાસભ્યોને બંધક બનાવીને બેંગલુરુ લઇ જવા પડ્યા? વધુમાં તેમણે દોષનો ટોપલો દિલ્હી તરફ ફેંકીને કહ્યું કે અહમદ પટેલને દિલ્હીવાળા હરાવવા માંગતા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી 36 ધારાસભ્યો જવાના હતા અને આ માટે જ તેમણે બંધક બનાવ્યા હતા.
જો કે પોતાનો મત ભાજપને આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ ખુલાસો આપતા કહ્યું કે અશોક ગહેલોતને મેં પહેલા જ કહ્યું હતું જો તેમણે પોતાના શબ્દો પાછા ના લીધા તો હું રાજીનામું આપીશ. તેમણે પોતાના શબ્દો પાછા ના ખેંચતા મારે ભાજપને વોટ આપવો પડ્યો. વધુમાં બાપુએ કોંગ્રેસ્ દ્વારા કરવામાં આવેલા ચૂંટણીપંચની ફરિયાદને લઈને જણાવ્યું હતું કે, બધુ પહેલેથી પ્લાનિંગ કરેલ હતું અને પરિણામ પહેલા જ દલીલ તૈયાર રાખવામાં આવ્યા હતા. ચૂંટણી એજેન્ટ એવું ના કહેવું જોઇકે બધાને તમારો મત દેખાડો અને તેમણે પોતાની જગ્યાએથી ઉભું પણ ના થવું જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ 47 ધારાસભ્યોની માલિકે જીત માટે બીજા પક્ષોના ધારાસભ્યો પર આધાર કેમ રાખવો પડ્યો. તેમણે આ આખી જીત માટે જીડીયુ અને એનસીપીના વોટની મદદને કારણભૂત જણાવી હતી. જો કે આજે કોંગ્રેસમાંથી જે 14 ધારાસભ્યોને નીકાળવામાં આવ્યા તે અંગે બોલતા શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું કે જે લોકોએ ભાજપને વોટ આપ્યા છે તેમની ચિંતા હવે ભાજપ કરશે. જો કે પોતે આવનારા સમયમાં કોઇ પણ પાર્ટીમાં જોડાવાના નથી તેવી વાત પણ તેમણે જણાવી હતી.