બાપુએ કહ્યું જ્યારે કોંગ્રેસ જીતવાની નથી તો વોટ કેમ આપું?
શંકરસિંહ વાઘેલાએ સ્વીકાર્યું તેમણે નથી આપ્યો અહમદ પટેલને વોટ. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં પહેલું વોટિંગ જ ના ગયું કોંગ્રેસના હિતમાં. ત્યારે આ અંગે બાપુએ બીજું શું કહ્યું જાણો અહીં.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર વિધાનસભામાં પહોંચીને, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી બહાર હાજર રહેલા મીડિયા સમક્ષ બાપુએ મોટા ઘડાકો કરતા કહ્યું હતું કે તેમણે અહમદ પટેલને વોટ નથી આપ્યો. શંકર સિંહ વાઘેલાઅે જણાવ્યું કે "જ્યારે કોંગ્રેસ જીતવાની જ નથી તો પછી તેને વોટ આપીને શું ફાયદો. મેં અહમદ પટેલને વોટ નથી આપ્યો". ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાએ અહમદ પટેલને વોટ આપવાનું જણાવ્યું હતું. પણ સોમવારે તેમના તરફથી નિવેદન આવ્યું હતું કે જ્યારે તેમના વોટની કોઇ કદર ના હોય તો પછી વોટ આપવાનો શું મતલબ. અને આજે તેમણે અહમદ પટેલને વોટ ન આપીને પોતાનું મહત્વ ફરી બતાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યારે રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે કોંગ્રેસના મોટા નેતાનું વોટ નાંખ્યા પછી જાહેરમાં સ્વીકારવું કે મેં કોંગ્રેસને વોટ નથી આપ્યો તે કોંગ્રેસના અન્ય નેતાઓ પર પણ મોટી અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હજી પણ કોંગ્રેસમાં બાપુના અનેક સમર્થકો બેઠા છે. જે અહમદ પટેલને જ વોટ આપશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. વધુમાં આ તમામની વચ્ચે શંકર સિંહ વાઘેલાનું આ નિવેદન અહમદ પટેલની મુશ્કેલીઓ વધારશે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
Jab Cong jeetne waali hai hi nahi, vote bina matlab Cong ko dene ka matlab nahi tha. Humne Ahmed Patel ko vote nahi diya:Shankersinh Vaghela pic.twitter.com/LoQZES57K3
— ANI (@ANI_news) August 8, 2017