શ્વેતા ભટ્ટ - કોંગ્રેસ તરફથી મોદી માટે બલિનું ચોથું ‘બકરૂં’ !
અમદાવાદ, 30 નવેમ્બર : કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે નિલંબિત આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મણિનગરમાંથી ચુંટણીના મેદાને ઉતાર્યાં છે. આ સાથે જ હવે મણિનગરમાં દેખાતી કોંગ્રેસની હાર હવે નિશ્ચિત બની ગઈ હોય તેમ લાગે છે. જોકે એ તો 20મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થતાં જ ખબર પડશે, પરંતુ મોદી જેવા કદાવર નેતા સામે કોંગ્રેસે જો જૂના, પણ ઉંમર પ્રમાણે અને જાણીતાં, પણ રાજકીય રીતે નહિં, એવા શ્વેતા ભટ્ટને મેદાને ઉતાર્યાં છે, તો એટલું જ ભાસી જ શકાય કે કોંગ્રેસ પાસે મોદી સામે ઉતારવા માટે કોઈ મજબૂત ઉમેદવાર હતો જ નહિં. એમેય મોદી સામે ચુંટણીના મેદાને ઉતરવું એટલે બલિના બકરા જેવી પરિસ્થિતિ જ ગણી શકાય છે.
મોદી સામે આ અગાઉ કોંગ્રેસે એવા ત્રણ બલિના બકરા ધર્યાં છે અને હવે કદાચ શ્વેતા ભટ્ટ બલિનું ચોથું બકરૂં સાબિત થાય તો નવાઈ નહિં રહે. નરેન્દ્ર મોદીની રાજકીય પૃષ્ઠભૂમિ સાંગઠનિક રહી છે. એટલે કે તેઓ શરુઆતથી જ પક્ષ માટે કામ કરતાં આવ્યા હતાં, પરંતુ સંજોગો એવા ઊભા થયાં અને તેમણે ચુંટણીગત રાજકારણમાં ઝંપલાવવુ પડ્યું.
સને 2001માં જ્યારે ગુજરાતમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રિત્વકાળે ભાજપ નબળો પડતો દેખાયો, ત્યારે હાઈકમાંડે તેમને 7મી ઑક્ટોબર, 2001ના રોજ કેશુભાઈ પટેલને ખસેડી મુખ્યમંત્રી બનાવ્યાં. ત્યારથી લઈ મોદી અત્યાર સુધી ત્રણ વખત વિધાનસભા ચુંટણી લડી ચુક્યાં છે.
મોદીએ પહેલી વાર કોઈ ચુંટણી લડી હતી, તો તે હતી રાજકોટ-2 વિધાનસભા સીટ. વજુભાઈ વાળાએ મોદી માટે સીટ ખાલી કરી આપી હતી અને પેટા ચુંટણી થતાં મોદી પહેલી વાર ચુંટણી જીત્યા હતાં. એક મુખ્યમંત્રી સામે ઉમેદવાર ઉતારવાની મજબૂરીને વશ કોંગ્રેસે રાજકોટ-2 પેટા ચુંટણીમાં અશ્વિનભાઈ નરભેશંકર મહેતાને ટિકિટ આપી હતી. મોદીએ પ્રથમ ચુંટણી અશ્વિનભાઈને હરાવી જીતી હતી. જોકે મોદી માત્ર 14 હજાર 728 મતે જ જીતી શક્યા હતાં. છતાં અશ્વિનભાઈ પોતે પણ જાણતાં જ હતાં કે તેઓ મોદી સામે ચુંટણી લડી બલિનું બકરૂં જ બનવાનાં છે.
મોદીએ બીજી વાર 2002માં ચુંટણી લડી. આ વખતે તેઓએ પહેલી વાર અમદાવાદની મણિનગર વિધાનસભા સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી. 2002માં સમગ્ર રાજ્યમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણના પગલે મોદી તરફી વાતાવરણ હતું. એવી પરિસ્થિતિમાં કોંગ્રેસે પોતાના પક્ષમાંથી નહિં, પણ ભાજપમાંથી બહાર આવેલ યતિન ઓઝાને બલિના બકરા તરીકે શોધી લાવી. મોદીએ યતિન ઓઝાને 75 હજાર 333 મતોથી પરાજિત કર્યાં. આમ ઓઝા કોંગ્રેસ તરફથી મોદી માટે બીજા બલિના બકરા બન્યાં.
મુખ્યમંત્રી તરીકે મોદી ત્રીજી વાર અને મણિનગરમાંથી બીજી વાર 2007માં ચુંટણીમાં ઝંપલાવ્યું. આ વખતે કોંગ્રેસ પક્ષે સાહસ કર્યો અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને મોદી સામે મેદાને ઉતાર્યાં. દિનશા પટેલ ગુજરાતના રાજકારણમાં એક મોટા ગજાના નેતા છે અને તેમની ઉમેદવારીથી મણિનગરનો કિલ્લો મોદી માટે થોડોક મુશ્કેલ પણ જણાવવા લાગ્યો, પરંતુ મોદી બેફિકર હતાં. મોદીને મણિનગરના મતદારો પર ભરોસો હતો અને કોંગ્રેસના મજબૂત ઉમેદવાર દિનશા પટેલ પણ બકરૂં જ સાબિત થયાં. મોદીએ દિનશા પટેલને 87 હજાર 161 મતોથી પરાસ્ત કર્યાં. આમ માર્જિનને જોઇએ તો દિનશા પટેલ તો યતિન ઓઝા કરતાં પણ મોટા બલિના બકરા સાબિત થયાં. યતિન ઓઝાની હારનું માર્જિન 75 હજાર મતોનું હતું, પરંતુ દિનશાએ તો આ માર્જિન વધુ વધારી દીધું.
હવે શ્વેતા ભટ્ટ મોદી સામે મેદાને ઉતર્યાં છે. જોકે પ્રાથમિક રિપોર્ટો મુજબ મણિનગરના સ્થાનિક લોકો પોતે આશ્ચર્યમાં છે કે કોંગ્રેસે આ વળી કયા પ્રકારના ઉમેદવાર ઉતાર્યાં છે. જોવા જઇએ તો મોદી સામે સૌથી સારી લડત રાજકોટ-2ની ચુંટણીમાં અશ્વિનભાઈ મહેતાએ આપી કહેવાય. તેમના પછી યતિન અને દિનશાએ ખીણ વધારી જ છે. હવે જોઇએ શ્વેતા ભટ્ટ આ ખીણને પહેલાં તો કેટલી હદે ભરી શકશે અને ભરવા ઉપરાંત વિજય પણ મેળવી શકશે કે કેમ?