રાજકોટ-વડોદરામાં મેરેથોન દોડને CM રૂપાણી ફલેગ ઓફ કરાવશે
રાજકોટ-વડોદરામાં મેરેથોન દોડને ફલેગ ઓફ કરાવશે સીએમ વિજય રૂપાણી. આ અંગે વધુ વાંચો અહીં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તારીખ 5 ફેબ્રુઆરી 2017 એટલે કે રવિવારે રાજકોટ અને વડોદરા મહાનગરમાં યોજાનારી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવશે. વિજયભાઇ રૂપાણી રાજકોટ મહાપાલિકા અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આયોજિત રાજકોટ મેરેથોનને રવિવારે સવારે 5:30 કલાકે રેસકોર્સ મેદાનથી ફલેગ ઓફ કરાવવાના છે.જે બાદ મુખ્યમંત્રી વડોદરા પહોચીને સવારે 7:30 કલાકે નવલખી ગ્રાઉન્ડથી બરોડા મેરેથોનને પ્રસ્થાન કરાવશે. કેન્દ્રીય ખેલકૂદ મંત્રી શ્રી વિજય ગોયલ પણ આ બરોડા મેરેથોનમાં ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે રાજકોટ મહાનગરની મેરેથોનમાં 60 હજારથી વધુ તેમજ બરોડા મેરેથોનમાં 79 હજાર નાગરિકોએ સહભાગી થવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ મેરેથોનમાં દિવ્યાંગ રન, સ્વચ્છતા રન તથા ડિઝીટલ ઇન્ડીયા-કેશલેસ ઇકોનોમી રનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાજકોટ અને વડોદરા મેરેથોન રન ને પ્રસ્થાન કરાવ્યા બાદ સવારે 10 કલાકે અમદાવાદમાં કોતરપૂર વોટર વર્કસ ખાતે 200 એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો લોકાર્પણ કરવાના છે. અને ત્યાર પછી રૂપાણી સવારે 11:30 કલાકે બોડકદેવમાં અમદાવાદ મહાનગરપાલિકાના અત્યાધુનિક ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરશે.