પેટમાં હતો 4 માસનો ગર્ભ, અને નણંદોઇએ માર્યા ચપ્પુના ઘા
સુરતના બમરોલીમાં એક ગર્ભવતી મહિલાને પતિની નજર સામે તેણીના જ નણંદોઈએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા મિલકતના ચાલી રહેલા ઝઘડાને લઈને હત્યા કરવામાં આવી.
સુરતમાં હત્યા ના બનાવો વધી રહ્યા છે. તે પણ એક દમ નજીવો બાબતોમાં હત્યાને અંજામ અપાઇ રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દેવીદર્શન સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના ધર્મેશ પોલાઈના પરિવાર સાથે પણ કંઇક આવી જ ધટના બની છે. ધર્મેશની બહેનનો પત્ની ક્રિષ્ના સાંઈ સાથે સાળાની મિલકતમાં ભાગ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. જેમાં ક્રિષ્નાએ ધર્મેશના ઘરે પહોંચી ગુસ્સામાં ધર્મેશની બાઈક સળગાવી દીધી હતી. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે વાત અહીં અટકી નહીં, મિલકતના આ ઝગડાએ તે પછી એક ગર્ભવતી મહિલાનો ભોગ લીધો છે. જેથી બે બાળકોએ માતાની છત્ર છાયા ગુમાવી દીધી છે.
થયું એવું કે બાઇક બાળ્યા પછી ક્રિષ્નાને ધર્મેશ અને તેના પરિવારજનો શોધી રહ્યા હતા. તે દરમિયાન બમરોલી દેવકીનંદન સ્કૂલ પાસે ક્રિષ્ના ઝડપાઈ ગયો હતો. જોકે ક્રિષ્નાએ ધર્મેશ અને તેની ગર્ભવતી પત્ની અનીતા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં અનીતાને ચપ્પુના ચાર જેટલા ઘા લાગતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ક્રિષ્ના હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે અનીતાને છાતીમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પણ તે પહેલાં અનિતાનું મોત થયું હતું બાદમાં બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પીઆઇ એસીપી,ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચયો હતો. જ્યારે ચોંકાવનારી વાત છે કે જે મહિલાની હત્યા થઈ તે મહિલા ને ચાર મહીનાનો ગર્ભ હતો. તેને લઈ પરિવાર લોકો રોષે ભરાયા હતા. હાલમાં પાંડેસરા પોલીસે અનિતાના પતિનું નિવેદન નોંધી તપાસ ચાલુ કરી છે.