GST નાબુદ કરવા સુરત કાપડ બજાર બંધ, પોલીસ ફોર્સ ખડે પગે હાજર
સુરત ટેક્સટાઇલ બજારમાં જીએસટીનો વિરોધ હજુ ચાલુ જ છે, વેપારીઓ ગુરૂવારે કલેક્ટરને આવેદન પત્ર આપનાર છે. એ પહેલાં અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામા આવી છે.
સુરત ટેક્સટાઈલ માર્કેટનું હબ ગણવામાં આવે છે. GST નાબુદ માટે ટેક્સટાઈલ માર્કેટ એસોશિયેશને સરકાર સાથે લડી લેવાની તૈયારી દર્શાવી છે. GSTને ટેક્સટાઈલ માર્કેટના ટ્રેડર્સમાં દિવસે ને દિવસે રોષ વધી રહ્યો છે. GST નાબૂદી કરવા માટે કાપડના વેપારીઓનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી પરિણામ ન મળે ત્યાં સુધી આંદોલન ચલાવવાની ચીમકી આપી છે. ગુરૂવારે સતત ચોથા દિવસે સુરત વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા હતા, જેમાં જેકેટધારી લોકલ પોલીસ ફોર્સ ઉતારવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, શહેરની 165 માર્કેટ GSTના વિરોધમાં બંધ કરવામાં આવી છે. GST નાબુદ કરવા માટે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો અને ગુરૂવારે રોજ કાપડ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે. જેથી કાપડ માર્કેટમાં વેપારીઓ અકઠાં થનાર છે.
કાંકરીચાળો થવાના એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. કોમી રમખાણો માટે તૈયાર કરવામાં આવેલ જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ ખડે પગે હાજર છે. વેપારીઓની આ સમસ્યામાં રાજકારણીય તક શોધી રહેલી વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા વેપારીઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. પરંતુ વેપારીઓ પોતાની સમસ્યાને રાજકીય મુદ્દો ન બનાવી, જીએસટીમાંથી મુક્તિની માંગ પ્રત્યે કટિબદ્ધ છે. 165 માર્કેટના 75 હજાર વેપારીઓએ જડબેસલાખ બંધ પાળી પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
માર્કેટ બંધ રહેતા એક દિવસનું 125 કરોડ નુકશાન થવાની સંભાવના છે. GSTને લઇ છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ જંગે ચડ્યા છે. જેમાં વેપારીઓની સાથે સાથે સામાન્ય શ્રમિકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. જેથી રોજનું લઈ રોજનું ખાતા સામાન્ય માણસો પણ હેરાન થઈ ગયા છે. બહારથી આવતાં વેપારીઓ પણ બંધને લઈને ચિંતામાં છે. કાપડને GST મુક્ત કરાવવા અને વેપારીઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં સુરતના કાપડના 1 લાખ વેપારીઓએ 8 જુલાઇએ માર્કેટ વિસ્તારમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરશે. જે.જે માર્કેટની સામે મળેલી સભામાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી.