સુરત બાદ વડોદરામાં પણ કોમી તોફાનો, રૂપાણીનું "સુશાસન"?
ગુજરાતમાં ફરી એક વાર કોમી તોફાનો માથું ઊંચકી રહ્યા છે. ત્યારે શું વિજય રૂપાણીની સરકાર આ કોમી તોફાનોને નાથવા અને શાંતિ લાવવામાં સફળ રહેશે?
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર તેમના જાહેર સંબોધનમાં કહ્યું હતું કે તેમના ગુજરાતના શાસનકાળ દરમિયાન કોમી તોફાનો ઓછા થયા છે. નોંધનીય છે કે ગોધરા કાંડ પછી ગુજરાતમાં થતા કોમી તોફાનાની સંખ્યામાં ધટાડો જોવા મળ્યો હતો. ગુજરાતના કોમી રમખાણોના ઇતિહાસ પર એક નજર કરીએ તો ગુજરાત અને કોમી રમખાણોને ખાસ સંબંધ છે. એક સમય હતો જ્યારે ચૂંટણી પહેલા ખાસ કોમી રમખાણો થતા જોવા મળતા હતા. એક સમયે કોમી રખમાણો જાણે અજાણે ગુજરાતની એક ઓળખ બની ગયા હતા.
જો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની સરકારમાં પણ કોમી છમકલાઓએ માથું ઊંચુ કર્યું હતું. અને ગત બે-ત્રણ દિવસની ધટનાઓને જોઇએ તો ફરી એક કોમી તોફાનો માથું ઊંચકી રહ્યા છે. સુરતમાં છેડતી મામલે બે કોમના લોકોએ પથ્થર મારો કર્યો હતો. તો બીજી તરફ વડોદરામાં પણ બુધવારે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જે બાદ હાલ ત્યાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
ત્યારે સવાલ તે ઊભો થાય છે કે ફરી એક વાર કોમી તોફાનાની આ આગ શું ગુજરાતના વિકાસ પર તરાપ મારશે? શું વિજય રૂપાણીની સરકાર આવા કોમી તોફાને થતા રોકવામાં કારગર નીવડશે? વધુ વાંચો અહીં...
વડોદરામાં કોમી તોફાનો
વડોદરામાં અવાર નવાર કોમી તોફાનો થતા રહે છે. ત્યારે બુધવારે, વડોદરાના ફતેહપુરા વિસ્તારમાંથી પસાર થતા વરઘોડામાં ડીયજેના ગીતો વાગી રહ્યા હતા ત્યારે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ત્યાર બાદ ભારે પથ્થરમારો થતા વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું. પોલીસને આ વાતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ભારે વાતાવરણને કાબૂમાં લેવા માટે પોલીસને વધુ કાફલાની જરૂર પડી હતી. એટલું જ નહીં તે બાદ તોફાની ટોળાએ પોલીસના કાફલાને પણ નિશાનો બનાવ્યો હતો.
શું આ તોફાન પૂર્વયોજિત હતું?
કોમી તોફાનમાં આઇપીએસ મહિલા અધિકારી લીનાને પણ ટાર્ગેટ બનાવી તેની પર પેટ્રોલ બોમ્બ છોડવામાં આવ્યો હતો. પણ સદ્દનસીબે તેના વાનના ટાયર પાસે બોમ્બ ફૂટ્યો હતો. નોંધનીય છે કે આ બનાવમાં પોલીસે ટોળ પર 35થી વધુ ટીયરગેસના શેલ છોડયા હતા અને 4 જેટલા રાઉન્ડ ગોળીબાર પણ કર્યા હતા. જોકે આ ઘટનામાં એક પોલીસ જવાન અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારે તોફાન ટોળાએ દેશી પેટ્રોલ બોંબ ક્યાંથી ફેંક્યા અને તેમની પાસે આવી ધાતક સામગ્રી ક્યાંથી આવી તે પર હાલ ચર્ચા થઇ રહી છે. તે પણ ચર્ચાઇ રહ્યું છે કે શું આ તોફાન પૂર્વયોજિત હતું?
સુરત
સુરતના પાલ ગામના લુહાર ફળિયા પાસે પણ અન્ય કોમના યુવકો દ્વારા લેસર લાઇટથી છોકરીઓને છેડવામાં આવતા વિવાદ વકર્યો હતો. મંગળવારે રાતે બનેલી આ ઘટનામાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને યુવાનો પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ વધુ પોલીસ કાફલો બોલાવી પોલિસે સ્થિતિ સંભાળી હતી.
વિકાસ vs કોમી તોફાનો
નોંધનીય છે કે ગોધારા કાંડ પછી લાંબા સમય સુધી ગુજરાતની ઓળખ જ ગોધારા કાંડ બની ગઇ હતી. અને તે બાદ ગુજરાતને "ગતિશીલ ગુજરાત" બનતા લાંબો સમય લાગ્યો હતો. નોંધનીય છે કે આવા કોમી તોફાના સદ્દભાવ અને ભાઇચારાની ભાવનાને તો નુક્શાન પહોંચાડે છે જ સાથે જ ગુજરાતના વિકાસ પર પણ રોક લગાવે છે. ત્યારે સવાલ એ છે કે શું મુખ્યમંત્રી વિજય રૂપાણી ધીરે ધીરે વકરી રહેલા આ કોમી તોફાનાના દાનવને બંધ કરવામાં સક્ષમ રહેશે? કે વળી પાછા વડોદરા જેવા શહેરો સાંસ્કૃતિ નગરીના બદલે કોમી તોફાના માટે જાણીતા થશે?