સૈયદના સાહેબ જેવા લોકોના કારણે વ્હોરા સમાજ આગળ આવ્યો છે: CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાઉદી વ્હોરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપી વ્હોરા સમાજના આ રીતે કર્યા વખાણ. વઘુ વાંચો અહીં.
દાઉદી વ્હોરા સમાજના બાવનમાં ધર્મગુરુ હાઇ સૈયદના અબુલ કાઇદ જોહર ડૉ. મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની આજે 106મી જન્મજયંતિ છે. સાથે જ ત્રેપનમાં હાઇ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનો આજે 73મો જન્મદિવસ છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ડૉ. સૈયદ સાહેબની ભવિષ્ય જોવાની દિર્ધ દ્રષ્ટ્રિના પરિણામે જ દાઉદી વ્હોરા સમાજ આજે આગળ વધી રહ્યો છે.
નોંધનીય છે કે સુરતના ઝાપા બજાર ખાતે આજે મિલાદ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ડૉ. સૈયદ સાહેબ હંમેશા કહેતા જે ઘરતી પર રહો છો તેને વફાદાર રહો. પર્યાવરણ, શિક્ષણ અને ગામડાના લોકોની સુવિધા વધે તે માટે તે હંમેશા ચિંતા કરતા. તેમણે જણાવ્યું કે શાંતિપ્રિય, ધાર્મિક અને બધા સાથે હળમળીને રહેનાર વ્હોરા સમાજને હું ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી અભિનંદન પાઠવું છું.
નોંધનીય છે કે આ અવસર પર વોહરવાડની તમામ શેરીઓને રોશની અને તોરણોથી સજાવવામાં આવી હતી. અને ખાલી ગુજરાતના જ નહીં વિશ્વભરના તેમના લાખો અનુયાયીઓ અહીં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિવિધ વ્હોરા સમાજના ગ્રુપો દ્વારા સ્કાઉટ, ધોડા, બેન્ડ ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી. વધુમાં આ પ્રસંગે ધારાસભ્ય નરોત્તમભાઇ પટેલ સમેત મેયર અને જિલ્લા કલેક્ટર પણ હાજર રહ્યા હતા.
વધુમાં આ અવસરે ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે પીએમ મોદીને પણ યાદ કર્યા હતા, જે પાંચ વર્ષ પહેલા સૈયદ સાહેબના જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાઇ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે દેશને વફાદાર રહેવાની શીખ સાથે જ મનની સફાઇ કરવા પર પણ ભાર મૂકવાની શીખ આપી હતી. અને ભારત અને ગુજરાતમાં હંમેશા શાંતિ અને અમન જળવાય તેવી શુભકામના કરી હતી.