સ્વાઇન ફ્લૂના પગલે કેન્દ્રની તબીબોની 3 ટીમ ગુજરાતમાં
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તે માટે આજે કેન્દ્રથી ત્રણ આરોગ્યની ટીમ ગુજરાત મુલાકાતે આવી છે. આ અંગે વધુ વાંચો અહીં..
રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂને રોકવામાં તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. આજે કેન્દ્રની આરોગ્યની ત્રણ ટીમો ગુજરાતની મુલાકાતે છે. જે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવશે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સૌથી વધુ અસર જામનગર અને રાજકોટમાં છે. આ બંને શહેરોમાં હાલ લોક મેળો ચાલુ છે. આ સમયે ચેપી રોગ ફેલાવાની શક્યતા વધુ છે. રાજ્ય સરકાર અને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં સ્થાનિક તંત્ર તેના પર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સોમવારે 9 દર્દીના મોત થયા હતા, તો સાથે જ 138 નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં મૃત્યુ આંક 278 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ સ્વાઈન ફ્લૂના દર્દીની સારવાર કરતા ડોક્ટર અને બીજા કર્મચારીઓને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે, જે પહેલા આપવામાં આવતી ન હતી. વકરતા જતા સ્વાઇન ફ્લૂને કાબુમાં લેવા સરકારી તંત્ર લાચાર બન્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, માત્ર 38 તાલુકામાં જ સ્વાઈન ફલૂ નથી. એ સિવાય રાજ્યના મોટા ભાગોમાં સ્વાઇન ફલૂએ પોતાનો ભરડો લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂ પોઝીટીવનો આંક 3200 સુધી પહોંચી ગયો છે અને 1981 લોકો સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂનો પગલે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા લોકોને મફતમાં ઉકાળો પીવાડાવામાં આવી રહ્યો છે.