તાપીમાં પાણીની સમસ્યાને લઇને થયો અનોખો વિરોધ!
ગુજરાતમાં પાણીની કેટલી તંગી છે તે વાત તો બધા જ જાણો છે પણ આ માટે પ્રયાસ કરવા માટે તાપીના લોકોએ કંઇક અલગ જ ચીલો ચીતર્યો છે.
તાપી : દેશના વડા પ્રધાન આદિવાસીઓને લઇ મોટી મોટી વાતો કરી રહ્યા છે. અને ગુજરાતને મોડલ બતાવી વડા પ્રધાન બનેલા તેમના જ ગુજરાતમાં આદિવાસી ગામો પાણીની સમસ્યાને લઇ ઝઝૂમી રહ્યા છે. પૂર્વ સોનગઢની પટ્ટીના 50 થી વધુ ગામોએ સ્વયંભૂ એકત્રિત થઇ એક વિશાળ જળ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે સોનગઢના ઓટાથી નીકળી 70 કિલોમીટર ઉકાઈ ના ચચરબુંદા કે જ્યાં ઉકાઈ ડેમનો પટ આવેલ હોય ત્યાં પહોંચી હતી. આ જળ યાત્રામાં 50 જેટલા ગામોના હજારો લોકો માથે બેઢા,માટલા સાથે જોડાયા હતા, અને ચચરબુંદા ગામે આવેલ તાપીના તટ પર આદિવાસી આગેવાનોએ જાહેર સભા કરી હતી. તાપી નદી માંથી દેગડા ભરીને પરત 70 કિલોમીટર પર આવતા નદી-નાડા,તળાવો કુવાઓમાં પાણી રેડી સરકારને એક સંદેશો આપવાની કોશિશ કરી રહ્યા છે.
બિનરાજકીય રીતે નીકળેલી આ જળ યાત્રા 70 કિલોમીટર પગપાળા અંતર કાપ્યા બાદ ઉચ્છલના ચચરબુંદા ગામે તાપી નદીના તટ પરથી પાણી ભરીને માનવસકાંળ રચી પરત સોનગઢના ઓટા સુધી પગપાળા જવા રવાના થઇ છે. જેમાં હજારોની સંખ્યમાં 50 જેટલા ગામોના આદિવાસીઓ જોડાયા છે. આ જળ યાત્રાનો એકજ ઉદ્દેશ્ય છે કે સરકાર વર્ષોથી તેમના વિસ્તારમાં પાણી આપવા બાબતે નિષ્ફ્ળ નીવડી છે. તો તેઓ સૌ એકત્રિત થઇ ઉકાઈ ડેમ માંથી પાણી લઈને માનવ સાંકળ રચી તેમના ગામોના બોર,કુવા,નદી,નાડા ને પુનર્જીવિત કરવાની કોશિશ કરશે. અને પોતે અને પ્રકૃતિને જીવન બક્ષવાની એક કોશિશ કરશે સાથે આ યાત્રાના આગેવાનોએ સરકારને ચીમકી પણ આપી છે કે જો આવનાર દિવસોમાં તેમની માંગ ન સંતોષાશે તો જલદ આંદોલન કરાશે.