સુજ્ઞેય સ્વામી દુષ્કર્મ કેસઃ પીડિતાના વકીલનું મોટું નિવેદન
ટોરેન્ટોના સ્વામીનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેય સ્વામી પર દુષ્કર્મનો આરોપ મુકનાર પીડિતા અને સ્વામી વચ્ચે સમાધાન થયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ટોરેન્ટોના સ્વામીનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેય સ્વામી પર દુષ્કર્મ નો આરોપ મુકનાર પીડિતા અને સ્વામી વચ્ચે સમાધાન થયું હોવાની ચોંકાવનારી મહિતી સામે આવી છે. વડોદરાના હરિધામ સોખડાના સ્વામિનારાયણ મંદરિના સાધુ પર કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેણે આ અંગે ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
યુવતીનો આરોપ હતો કે, ડિસેમ્બર, 2016માં જ્યારે સુજ્ઞેય સ્વામી ટોરેન્ટો ખાતેના સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તે સાધુ યુવતીને ફોન-મેસેજ કરી હેરાન પણ કરતો હતો.
પીડિતા અને સ્વામી વચ્ચે સમાધાન
આ મામલે હવે પીડિતા અને સાધુ વચ્ચે સમાધાન થયું હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. પીડિતાનાં વકીલ સોનલ જોશીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, પીડિતાએ સ્વામી વિરુદ્ધ ટોરેન્ટો ઓફિસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ન્યાય મેળવવા મારી મદદ માંગી હતી. પરંતુ હવે તેની તરફથી જોઇએ એવો પ્રતિસાદ મળતો નથી. તે પોતાના પિતાની બીમારીનું બહાનું કાઢી વાત ટાળતી હોય એમ લાગે છે. આથી શક્ય છે કે પીડિતા અને સ્વામી વચ્ચે સમાધાન થઇ ગયું હોય.
પિતાના કહેવાથી કરી હતી મદદઃ સુજ્ઞેય સ્વામી
ઉલ્લેખનીય છે કે, આ આખો મામલો સામે આવ્યા બાદ સુજ્ઞેય સ્વામી ફરાર થઇ ગયો હતો. થોડા દિવસ બાદ સુજ્ઞેય સ્વામીનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તેણે આ દુષ્કર્મનો આરોપ સાવ ખોટો હોવાની વાત કહી હતી. તેમણે આ વીડિયોમાં કહ્યું હતું કે, આ કથિત દુષ્કર્મનો જે આરોપ મારી પર લગાડવામાં આવ્યો તે સાવ ખોટો છે. આ વાત સાંભળીને મને ખૂબ જ આઘાત લગ્યો છે. હું તો સારુ કરવાનો પ્રયત્ન કરતો હતો, એ દિકરી ખૂબ વ્યથિત અને માનસિક રીતે અસ્વસ્થ હતી. આથી તે દિકરીના પિતાના કહેવાથી મેં તેની મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
યુવતી તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતોઃ સુજ્ઞેય સ્વામી
'મેં તેના પિતાને કહ્યું હતું કે, જે પણ પ્રશ્ન હોય તે તમે મને કહો હું ઉપાય બતાવીશ, તમે એ પ્રમાણે તમારી દિકરીને કહેજો. આમ છતાં, તેમણે મને જ્યારે કહ્યું કે, દિકરી હતાશ થઇ જીવનનો અંત લાવવાની વાતો કરે છે, ત્યારે મેં લાગણીવશ થઇ તે દિકરીનું સારુ થાય એમ વિચારી મદદ કરવeનો પ્રયત્ન કર્યો હતો. તે દિકરીએ સામેથી મને પહેલો મેસેજ કર્યો હતો અને તેની મદદ કરવાનું વિચારી હું તેના મેસેજના જવાબ આપતો હતો. એ દરમિયાન તે મારી સાથે લાગણીથી જોડાઇ હોય એમ મને લાગ્યું અને આથી જ મેં ધીરે-ધીરે એના મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેમની તરફથી લગ્નનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, જેની મેં ના પાડતાં તેમણે લોકો સામે આવી રજૂઆત કરી હોય એમ મને લાગે છે.'
પીડિતાનો પત્ર
બીજી તરફ પીડિતાનો પોતાની આપવીતી વર્ણવતો એક પત્ર સામે આવ્યો હતો. આ પત્ર તેણે સોખડા સ્વામીનારાયણ મંદિરના સ્વામી હરિપ્રસાદને લખ્યો હતો. પીડિતાએ આ પત્રમાં લખ્યું છે કે, જ્યારે આ મામલે મદદ માંગી ત્યારે મારું ખોટી રીતે મૂલ્યાંકન કરી મારું અપમાન કરવામાં આવ્યું. સુજ્ઞેય સ્વામી મારી પાસે મારા ફોટા માંગતો હતો, મેં ક્યારેય મારા કોઇ ફોટા તેમને મોકલ્યા નથી. જ્યારે સ્વામીએ મને તેમના 2 નગ્ન ફોટા મોકલ્યા હતા. સાથે જ પીડિતાએ અન્ય એક ખુલાસામાં એમ પણ કહ્યું હતું કે, હું લાગણીથી સ્વામી સાથે બંધાઇ હતી એ વાત ખોટી છે. લગ્નનો પ્રસ્તાવ સુજ્ઞેય સ્વામી તરફથી આવ્યો હતો.
અહીં વાંચો