ગુજરાતના માછીમારો માટે ઐતિહાસિક દિવસ, 12 વર્ષે ઝૂક્યું પાકિસ્તાન
પોરબંદર, 24 માર્ચઃ સૌરાષ્ટ્રના માછીમારો માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. બારેક વર્ષના લાંબા સમય બાદ પાકિસ્તાનના કબ્જામાંથી છુટેલી બોટ તેના માલિકોને પરત અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અસરકારક વિદેશનીતિના પરિણામે પાકિસ્તાન મરીન એજન્સી હસ્તક કરાંચી બંદરે રહેલી ૫૭ બોટો છોડવામાં આવી હતી. જેમાં પોરબંદરની ૪૭, માંગરોળની ૩, ઓખાની ૨ અને વણાકબારાની ૫ બોટોનો સમાવેશ થાય છે. કૃષિ અને મત્સ્યપ્રધાન બાબુભાઇ બોખીરિયાએ આ બોટો તેના માલીકોને અર્પણ કરી હતી.
પોરબંદરના સુભાષનગર સ્થિત ઓલ વેધર પોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી બાબુભાઇ બોખીરિયા એ જણાવ્યું કે દરિયાની જેટલી વિશાળતા છે. એટલા જ ગુજરાતના માછીમારોના દિલ વિશાળ છે. સૌરાષ્ટ્રના માછીમારો સાહસિક છે અને દિનરાત જોયા વિના અરબી સમુ્દ્રને ખેડે છે. પણ, કયારેક અજાણતા આંતરરાષ્ટ્રીય જળસીમાને વળોટી જાય છે. ત્યારે પાકિસ્તાનની સુરક્ષા એજન્સી દ્વારા તેની ઘરપકડ કરવામાં આવે છે. માછીમારોની ઘરપકડ બાદ તેને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવે છે. રાજદ્વારી પ્રયત્નોના કારણે માછીમારો છુટી જાય છે. પણ, તેની કિંમતી બોટ છુટતી નથી. છેલ્લે વર્ષ ૨૦૦૩માં માછીમારોને તેની બોટ સાથે છોડવામાં આવ્યા હતા. બાદમાં પકડાયેલી તમામ બોટ પાકિસ્તાને પોતાના કબ્જામાં ઘણા સમયથી રાખી હતી.
હવે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજદ્વારી સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરતાની સાથેજ પાકિસ્તાન સાથે આવા મહત્વના પ્રશ્નોને ઉકેલવા મંત્રણાઓ શરૂ કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ માછીમારોની બોટોના મુદે્ વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. તેના પરિણામ સ્વરૂપ આ ૫૭ બોટો પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી છે. તેને આંતરરાષ્ટ્રીય જળસીમાએથી પોરબંદર સુધી લાવવાનો ખર્ચ પણ સરકારે ઉઠાવ્યો છે. એટલુંજ નહીં તેનો રિપેરીંગ ખર્ચ પણ સરકારે ભોગવ્યો છે. આ બોટ માછીમારોને પરત મળતાં તેનું ગુજરાન નિયમિત ચાલશે.
અગ્રણી વેલજીભાઇ મસાણીએ ભારત સરકારના માછીમારોની બોટ છોડવાના પ્રયત્નને આવકાર્યા હતા અને કહ્યું હતું કે માછીમારોનું ભલું કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશેષ રસ લીધો છે. માછીમાર સમાજ તેનો ઋણી રહેશે. તેમણે આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંધન ન કરવા માછીમારોને અપીલ કરી હતી. ખારવા સમાજના પ્રમુખ દિલીપભાઇ લોઢારી, મત્સ્યોધોગ કમિશ્નર પી.એલ.દરબારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
મહાનુભાવોના હસ્તે માછીમારોને પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. માછીમારોએ આ પ્રસંગને હર્ષભેર આવકારી લીધો હતો.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભોજાભાઇ પરમાર, વિરમભાઇ, વિક્રમભાઇ, રાણીબેન કેશવાલા, વિજયભાઇ થાનકી, પંકજભાઇ મજીઠિયા, અગ્રણી નરસીભાઇ જુંગી, હિતેશભાઇ ઠકરાર, અગ્રસચિવ અરૂણભાઇ સોલંકી, કોસ્ટગ્રાર્ડના આઇ.જી. સોરેન, ડી.આઇ.જી કૌલ, જિલ્લા વિકાસ અધિકારી સી.પી. નેમા ઉપસ્થિત રહયા હતા.