સગા ભાઇઓએ બહેનની હત્યા કરી અંતિમ સંસ્કાર પણ કરી દીધા!
રાજકોટઃ બિરેન અને રાજવીર નામના બે ભાઇઓએ પોતાની સગી બહેનની હત્યા કરી, તેના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા.
રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રીની તેના જ બે સગા ભાઇઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. સગા ભાઇઓએ 20 દિવસ પહેલાં જસદણની વાડીએ ઝેરી દવા પીવડાવી બહેનની હત્યા કરી હતી અને હત્યા બાદ બહેનના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. પોલીસ દ્વારા આ મામલની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ મામલે પોલીસને અરજી મળી હતી, અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ હેઠળ મૃતકના પરિવારજનોને પૂછતાછ માટે બોલાવ્યા હતા, જેમાં ખુલાસો થયો હતો કે બંન્ને ભાઇઓએ જ સગી બહેનની હત્યા કરી છે. પોલીસે બંન્ને ભાઈઓની ધરપકડ કરી હતી, આ મામલે સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી હાલ ફરાર છે.
મળતી માહિતિ મુજબ, રાજકોટ શહેરમાં રહેતા અને મૂળ જસદણના ભંગડા ગામના વતની ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રી પુનમનું તેના જ બે સગા ભાઇઓ બિરેન અને રાજવીરે ઘરેથી અપહરણ કર્યું હતું. જેમાં રાજવીર અને બિરેને પોતાના 3 સાગરીત રઘુ નટુભાઇ ગીડા, ગૌતમ વજુભાઇ વાળા અને મહેશગીરી ઉર્ફે મામુની મદદ લીધી હતી. આ પાંચેય પુનમનું અપહરણ કરી તેને જસદણ નજીક આવેલી વાડીએ લઇ ગયા હતા, અહીં તેમણે પુનમને જબરજસ્તી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં બિરેન અને રાજવીરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ઉપરોક્ત ત્રણ સાગરીતોની શોધખોળ ચાલુ છે.
આ સમગ્ર બનાવ અંગેની અરજી પોલીસ કમિશનરને મળી હતી, કમિશનરે તપાસના આદેશ આપતાં હત્યાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીઓએ હત્યા કે મૃત્યુ અંગે પોલીસ, હોસ્પિટલ અથવા કોઈ કચેરીમાં નોંધ કરાવ્યા વિના મૃતદેહને વતન લઇ જઇ બારોબાર અગ્નિસંસ્કાર કરી નાંખ્યા હતા. પોલીસે હત્યા અને અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.