અનિયમિત પગાર મુદ્દે સફાઇ કામદારોએ આપ્યું આવેદન પત્ર
છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત સફાઇ કામદારોએ બુધવારે આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી.
વિરમગામમાં સફાઇ કામદારો છેલ્લા 6 મહિનાથી અનિયમિત પગારને કારણે હેરનગતિ ભોગવી રહ્યાં છે. હાડમારી વધતાં બુધવારના રોજ શહેરના આશરે 100 જેટલા રજમદાર અને સફાઇ કામદારોએ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ બુધવારે લગભગ 100 જેટલા સફાઇ કામદારો કામથી અળગા રહ્યાં હતા.
વિરમગામ નગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી આશરે 100 જેટલા રોજમદાર અને કાયમી સફાઈ કામદારોનો પગાર અનિયમિત છે અને છેલ્લા 3 મહિનાથી તેમને પગાર નથી મળ્યો. આ કારણે કામદારોને વ્યવહારિક જીવનમાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 5-7 વર્ષથી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારના પગારમાંથી પીએફ પણ કાપવામાં આવે છે. આવેદન પત્રમાં પીએફની ફાળવણી અંગે પણ માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે સફાઇ કામદારોએ આગળ પણ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ આ મામલે કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે બુધવારે આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું.