ગુજ.ના શહીદો અંગે અખિલેશની ટિપ્પણી પર CMનો જવાબ
ગુજરાતના શહીદ જવાનો અંગે અખિલેશ યાદવના નિવેદન સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જવાબ.
ઉત્તર પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાલ ભારતીય સેના ના શહીદ જવાનો અંગે કરેલા નિવેદન માટે ચર્ચામાં છે. અખિલેશના નિવેદન બદલ તેમની ખૂબ આલોચના થઇ રહી છે. અખિલેશ યાદવે દેશની સીમાઓ પર શહીદ થયેલ જવાનોની ક્ષેત્રીયતા પર સવાલ કરતા કહ્યું હતું કે, જે જવાનો શહીદ થાય છે, તેમાં ગુજરાતના એક પણ જવાનનું નામ કેમ નથી હોતું? તેમણે મીડિયા સામે આ વાત કહી હતી. તેમણે મીડિયાને સવાલ કર્યો હતો કે, તમે જણાવો, શું ગુજરાતનો એક પણ જવાન શહીદ થયો?
વિજય રૂપાણીનો જવાબ
અખિલેશ યાદવના આ નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 'આ તેમની છીછરી રાજનીતિ દર્શાવે છે. ઉત્તર પ્રદેશની હાર બાદ અખિલેશ યાદવનો ગુસ્સો આ રીતે બહાર નીકળી રહ્યો છે. આવું નિવેદન કરીને તેઓ પોતાની રાજકારણની છીછરી વિચારસરણી લોકો સામે મૂકી રહ્યાં છે.' માત્ર વિજય રૂપાણી જ નહીં પરંતુ ઘણા લોકો અખિલેશના આ નિવેદનની આલોચના કરી રહ્યાં છે.
શું કહ્યું હતું અખિલેશે?
ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે મીડિયા સામે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દક્ષિણ ભારત દરેક જગ્યાના જવાનો શહીદ થયા છે, પરંતુ ગુજરાતનો કોઇ જવાન શહીદ થયો હોય તો જણાવો! તેમણે આગળ કહ્યું કે, મીડિયા માત્ર એટલું જ કહે છે કે સેનાના જવાનોના માથા કાપવામાં આવ્યા, તેમણે સાથે એ પણ જણાવવું જોઇએ જવાનોના બીજા કયા અંગો કાપવામાં આવ્યા?
ગુજરાતના પણ અનેક જવાનો થયા છે શહીદ
અખિલેશ યાદવે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે કદાચ તેઓ થોડા જ મહિના પહેલાં શહીદ થયેલ જવાનો અંગે ભૂલી ગયા હતા, ઉલ્લેખનીય છે કે મૂળ ગુજરાતના એવા બે ભારતીય સેનાનીઓ જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમસ્ખલનમાં શહીદ થયા હતા. આમાંથી એક જવાન ગુરેજ અને અન્ય માછિલમાં ફરજ બજાવતા હતા, હિમસ્ખલન બાદ બરફમાં દટાઇ જવાનો કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિદાય કરવામાં આવી હતી.
ઉરીમાં પણ શહીદ ગુજરાતી જવાન
ભાવનગરના પંચમહલ ગામનો રહેવાસી 24 વર્ષીય સુનીલ પટેલ તથા કર્માડિયાનો રહેવાસી 26 વર્ષીય દેવ પરમાર હિમસ્ખલનની ઘટનામાં શહીદ થયા હતા. બંન્ને જવાનોના શબ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા. આ જવાનોની અંતિમ યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ગત વર્ષે ઉરીમાં થેયલ આતંકી હુમલામાં ગુજરાતના એક જવાનને ગંભીર ઇજા થઇ હતી, તે પછી ભારતીય સેનાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ જવાનના મૃત્યુ બાદ મૂળ ગુજરાતના એવા શહીદ ભારતીય જવાનોનો આંકડો 19 પર પહોંચ્યો છે.
ચૂંટણીમાં વ્યસ્ત હતા અખિલેશ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાનો દરેક જવાન પ્રથમ એક ભારતીય છે, ત્યાર બાદ કોઇ રાજ્ય, શહેર, જિલ્લા કે ગામનો રહેવાસી છે. જવાનોને તેમના ક્ષેત્ર સાથે જોડી તેમાં તફાવત કરવો યોગ્ય નથી. દેશનો દરેક જવાન, ભલે તે ગમે તે પ્રાંતનો હોય, પોતાના દેશની સેવા માટે જ સેનામાં જોડાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના બે જવાનો હિમસ્ખલનમાં શહીદ થયા ત્યારે અખિલેશ યાદવ પોતાના કૌટુંબિક વિવાદ અને ચૂંટણીમાં વ્યસ્ત હતા.
{promotion-urls}