આખરે ગુજરાત સરકારને હાર્દિક પટેલની યાદ આવી ખરા!
ગુજરાત સરકારે પાટીદાર અનામત મામલે વાતચીત કરવા પાસના હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું છે. જેને હાર્દિકે સ્વીકાર્યું પણ છે. ત્યારે સવાલ તે થાય છે કે કેમ હાર્દિક પટેલની યાદ ગુજરાત સરકારને આવી?
નોંધનીય છે કે પાટીદાર આંદોલન થયું તે દિવસથી ગુજરાત સરકાર પોતાની રીતે આ સમગ્ર પ્રકરણ પર ચર્ચા થાય તે માટે પ્રયત્નશીલ છે. પણ વાતચીતનો મુદ્દો બન્ને પક્ષે હજી સુધી લાભકારી સાબિત નથી થયો તે વાત બધા જ જાણે છે. તેવામાં રાજ્ય સરકારે પાસ કન્વીનર અને આંદોલનના મુખ્ય નેતા તેવા હાર્દિક પટેલને વાટાઘાટો માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જેનો સ્વીકાર હાર્દિક પટેલ દ્વારા પણ અમુક શરતોના આધારે સ્વીકાર કરવામાં આવ્યો છે.
જો કે મઝાની વાત એ છે કે ગુજરાત સરકારને એક ચોક્કસ સમયે હાર્દિક પટેલની સાથે વાટાઘાટો કરવાનું યાદ આવ્યું છે. નોંધનીય છે કે હાલ ભલે હાર્દિક પટેલ ગુજરાતની બહાર હોય પણ તે ટૂંક સમયમાં તેની 6 મહિનાની સમય સીમા પૂરી કરી ગુજરાત પરત ફરી શકે છે. ત્યારે ગુજરાત સરકારે પાણી પહેલા પાળ બાંધવાના પ્રયાસ રૂપ જાહેર આમંત્રણ હાર્દિક પટેલને મોકલાવ્યું છે. ત્યારે બન્ને પક્ષોનું શું કહેવું છે. આ સમગ્ર મામલે અને તેના કેવા પરિણામો આવી શકે છે અને કેવી રીતે ગુજરાતના રાજકારણમાં આ સમગ્ર મુદ્દો મહત્વપૂર્ણ બની રહેશે તે અંગે વિગતવાર માહિતી વાંચો અહીં.....
સરકારનું વલણ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને ખુલ્લુ આમંત્રણ આપ્યું છે કે સરકાર અને પાસ કન્વીનરો તેમના વિવિધ મુદ્દાઓ સાથે સામ સામે બેસી વાતચીતના માધ્યમથી આ સમગ્ર મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવે. નોંધનીય છે કે નીતિન પટેલ આ વાતની જાહેરાત કરતી વખતે "ગુજરાતની શાંતિ", "એકતા", "વિકાસ" જેવા શબ્દો પર ખાસ ભાર મૂક્યો હતો. અને આશા વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ તેમની આ પહેલની આવકારે. એટલું જ નહીં સરકારે પોતાના એક પ્રતિનિધિ મંડળને ઉદેપુર હાર્દિક સાથે વાટાધાટો કરવા માટે મોકલવાની પણ વાત ઉચ્ચારી છે. નોંધનીય છે કે રાજદ્રોહના આરોપના કારણે હાલ હાર્દિક પર ગુજરાતમાં પ્રવેશબંધી છે.
હાર્દિકનો જવાબ
તો સામા પક્ષે હાર્દિક પટેલે પણ સરકારના આ આમંત્રણને સ્વીકાર્યો છે. જો કે થોડી શરતો સાથે. ગત રાતે હાર્દિકે ફેસબુક પર એક વીડિયો મૂકી આ અંગે સ્પષ્ટતા આપી હતી અને વાતચીત કરવા માટે તૈયારી બતાવી હતી. તેણે જણાવ્યું હતું કે આ અંગે આવતા 2-3 દિવસમાં તમામ કન્વીનર સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. અને 11 કન્વીનર ની ટીમ સરકાર સાથે ચર્ચા કરશે.
હાર્દિકની સ્પષ્ટતા
સાથે જ તેણે આ વીડિયોમાં જણાવ્યું હતું કે આ વાતચીતમાં અનામત જ મુખ્ય મુદ્દો રહેશે અને સાથે જ પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે. જો કે તેને સરકારને ચેતવણી પણ આપી હતી કે જો સરકાર વાતચીતના બહાને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાસ કરશે તો જાન્યુઆરીમાં "દંગલ ખેલાશે"
કેમ સરકારને હાર્દિક યાદ આવ્યો?
નોંધનીય છે કે રાજદ્રોહના આરોપ હેઠળ હાર્દિક પટેલ પર 6 મહિના સુધી ગુજરાતમાં આવવાની પ્રવેશ બંધી છે. પણ હવે આ પ્રવેશ બંધી ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને તે વાત તો સરકાર પણ સારી રીતે જાણે છે કે હાર્દિક પટેલના ગુજરાતમાં આવતા જ પાટીદાર અનામત આંદોલનમાં નવા પ્રાણ પૂરાશે. ત્યારે 2017ની ચૂંટણીમાં ભાજપને જીતવું હશે તો તેને "સબકા સાથ સબકા વિકાસ"ની તાતી જરૂર છે.
સરકારનો આ નિર્ણય આવકારવા લાયક છે
જો કે ભલે ને ભાજપ સરકારનો આ નિર્ણય એક રાજકીય લાભ હેઠળ જ કેમ ના લેવાયો હોય, તેમ છતાં તે નિર્ણય આવકારવા લાયક છે. કારણ કે અનામતના મામલે ફરી બીઆરટીએસના કાચ અને કોઇના માથા ફૂટે તેના બદલે બંધ બારણે એક બે ખુરશી તૂટશે તો અંકાદરે ખાલી ટેક્સ ભરતા મારા તમારા જેવા સામાન્ય લોકોને ઓછું નુક્શાન વેઠવું પડશે.