13 વર્ષની બાળકીએ PMને લખ્યો પત્ર, 100 કર્મચારીઓની હકાલપટ્ટી
13 વર્ષની બાળકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, 100 કર્મચારીઓની થઇ હકાલપટ્ટી
દેશભરના નેતાઓ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે છે, પરંતુ અહીંના કર્મચારીઓની શર્મજનક કામગીરી અંગે ભાગ્યે જ કોઇને જાણકારી હશે. અહીં કામ કરતા કર્મચારીઓ મુસાફરો પાસેથી ગેરકાયદેસર કર વસૂલે છે, આ અંગેની ફરિયાદ એક 13 વર્ષની બાળકીએ પીએમ મોદીને કરી હતી.
આ બાળકી પટિયાલામાં ધો.7માં ભણે છે અને તેનું નામ છે હશ્મિતા. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને તેમાં ફરિયાદ કરી હતી કે, મહાત્મા ગાંધીના સમાધિ સ્થાને ફરવા આવતા વિદેશી પર્યટકો પાસેથી કર્મચારીઓ તેમના જોડા સાચવવા માટે લગભગ 100 રૂપિયા વસૂલે છે, જ્યારે કે અહીં જૂતા મુકવાનું શુલ્ક છે માત્ર 1 રૂપિયો. હશ્મિતાની આ ફરિયાદ બાદ પીએમઓ કાર્યાલય દ્વારા તુરંત આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. શનિવારના રોજ એક અધિકારીએ રાજઘાટ પહોંચી લોકોની પૂછપરછ પણ કરી હતી અને ત્યાર બાદ અહીં કામ કરતા લગભગ 100 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.
હશ્મિતા પટિયાલાથી દિલ્હી ફરવા આવી હતી, ત્યાંથી પરત ફર્યા બાદ રાજઘાટ પર જોયેલું દ્રષ્ય તેના મનમાં રમતું હતું. આખરે તેણે વડાપ્રધાનને પત્ર લખી આ વાત જણાવવાનો નિર્ણય કર્યો. તેણે પત્ર પર સરનામામાં માત્ર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નવી દિલ્હી' લખ્યું હતું અને આ પત્ર સીધો પીએમઓ કાર્યાલય પહોંચ્યો હતો.
આ પત્રની ફરિયાદ મામલે પીએમઓની કાર્યવાહી બાદ રાજઘાટના ગાંધી સ્મૃતિ દર્શન સમિતિના અધિકારી એસ.એ.જમાલે આ બાબતે કર્મચારીઓને સખત નિર્દેશ પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કામમાં કોઇ પણ પ્રકારની બેદરકારી કે અનિયમિતતા સાંખી નહીં લેવાય. તેમણે કર્મચારીઓને પોતાનું કામ પ્રમાણિકતાપૂર્વક કરવાના નિર્દેશ આપ્યા હતા.