LOC પર પહોંચ્યા 200 ઉગ્રવાદીઓ, ભારતમાં ઘૂસવાની ફિરાકમાં : સૂત્રો
શ્રીનગર, 7 ડિસેમ્બર : ભારતના ઉત્તરી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં તબક્કાવાર રીતે વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ ગાળામાં આતંકવાદીઓએ ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરીને લશ્કરના જવાનોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની ચર્ચા ચાલુ છે ત્યારે માહિતી મળી છે કે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર અંદાજે 200 જેટલા આતંકવાદીઓ પહોચી ગયા છે અને ભારતમાં ઘૂસણખોરી કરવાની તાકમાં છે.
છેલ્લા ઘણા સમયથી ભારતની સરહદ પર હલચલ ચાલી રહી છે. ભારતમાં ઘટી રહેલી આતંકવાદની ઘટનાઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જમ્મુનો સાંબા હોય કે રાજૌરી વિસ્તાર, પૂંછ હોય કે પછી કાશ્મીર ઘાટી વિસ્તાર આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા સૌથી મોટા લોકશાહી ઉત્સવ ચૂંટણીઓમાં ખલેલ પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે.
આ અંગે સૂત્રોની વાત માનવામાં આવે તો જાણવા મળ્યું છે કે ભારતની સરહદ પર હજી પણ 200થી 300 આતંકવાદીઓ છે, જે ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. બીજી તરફ ભારતની સરહદની રક્ષા કરી રહેલા સેનાના જવાનોનું કહેવું છે કે પાકિસ્તાનને તેના કોઇ પણ નાપાક હેતુમાં સફળ થવા દેવામાં આવશે નહીં.
નોંધનીય છે કે શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં 8 જવાનો પણ શહીદ થયા છે અને 11 જવાનો ઘાયલ થયા છે. ભારે હથિયારો સાથે આતંકવાદીઓએ એક સૈન્ય શિબિર તથા પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.
આ ઉપરાંત ત્રણ જગ્યાઓ પર સુરક્ષાકર્મીઓના દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓ પાસે લાઇવ ગ્રેનેડ મળી આવ્યા હતા. આતંકવાદીઓ પાસેથી ખાવાના જે પેકેટ્સ મળી આવ્યા હતા તેની પર પાકિસ્તાનનું લેબલ લાગેલું હતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે આ બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે.