વર્ષ 2017માં બજારમાં આવશે રૂ. 200ની ચલણી નોટ?
નોટબંધી બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં 500 અને 2000ની નોટ વચ્ચેના અંતરને ઓછું કરવા માટે ટૂંક સમયમાં જ રૂ.200ની ચલણી નોટ બહાર પાડવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000ની ચલણી નોટો પર નોટબંધી લાગુ કરી હતી. ત્યાર બાદ સરકારે રૂ. 500ની નવી અને રૂ.2000ની નોટ બહાર પાડી હતી. ત્યારથી સતત કહેવાઇ રહ્યું છે કે, ટૂંક સમયમાં જ સરકાર રૂ.2000ની નોટોનું પણ ચલણ બહાર કરશે. આ માટે કેન્દ્ર સરકાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે.
ટૂંક સમયમાં જોવા મળશે રૂ. 200ની નોટ
નોટબંધી બાદ લોકોને છૂટા પૈસાની ભારે તંગી ભોગવવી પડી હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકાર 50, 100 અને 500 રૂપિયાની નોટો વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચાડવા માંગે છે. આ માટે જ સરકાર રૂ.200ની નોટ પણ બહાર પાડવાની યોજના બનાવી રહી છે. સૂત્રો અનુસાર, સરકાર રૂ. 200 સહિત નાની નોટોનો ઉપયોગ વધારવા માંગે છે.
SBI કરી રહ્યું છે ATM કોલાબ્રેટ
સૂત્રોની જાણકારી અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના એટીએમ મશીનો ફરીથી કોલાબ્રેટ કરવાનું શરૂ કર્યું છે, જેથી તેમાં વધુમાં વધુ સંખ્યામાં 500ની નોટો નાંખી શકાય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઇકોરેપ રિપોર્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રૂ.200ની નવી નોટ 100, 500 અને 2000ની નોટો વચ્ચેના અંતરને ઓછું કરવાનું કામ કરશે.
ATM અને બેંકમાં ચલણી નોટોનું પ્રમાણ
નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા જૂની નોટોની અછત પૂરી કરવા માટે લગભગ 84 ટકા ચલણી નોટો છાપવામાં આવી છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર, ગત વર્ષના નવેમ્બરની સરખામણીએ બેંકો પાસે જમા કુલ રોકડનો આંકડો નીચે ગયો છે. 23 જૂન, 2017ના આંકાડા અનુસાર બેંકો પાસે જમા રકમ, બજારમાં ફરતી કુલ ચલણી નોટોના માત્ર 5.4 ટકા છે. જ્યારે કે, 25 નવેમ્બર, 2016ના રોજ આ આંકડો હતો 23.19 ટકા
ATMમાં નાની નોટોની અછત
આ પરથી અનુમાન લગાવી શકાય કે, નોટોનો મોટો જથ્થો ATM મશીનમાં રાખવામાં આવ્યો છે. આ અછત પૂરી કરવા માટે જ રૂ.200ની નોટ લાવવામાં આવી છે, જેથી બાકીની નોટો વચ્ચેના અસંતુલનને નિયંત્રણમાં લાવી શકાય. નોંધનીય છે કે, એટીએમ મશીનમાં રાખવાની નોટોની એક મર્યાદા હોય છે. વળી જો એટીએમમાં માત્ર રૂ. 100ની નોટો મુકવામાં આવે, તો એટીએમનો મેઇન્ટેનન્સ ખર્ચ ઘણો વધી જાય છે.
નોટબંધીથી અર્થવ્યવસ્થાને લાગ્યો હતો ઝાટકો
નોંધનીય છે કે, નોટબંધી બાદ ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગ્યો હતો. નોટબંધીને કારણે ઊભી થયેલી નાની-મોટી સમસ્યાઓ ઉકેલવા માટે વિવિધ રસ્તાઓ શોધવામાં આવી રહ્યાં છે. રૂ. 200ની ચલણી નોટ પણ આ જ દિશામાં સરકારનું એક પગલું હોઇ શકે છે. જો કે, હવે જોવાનું એ છે કે સરકાર ક્યારે રૂ.200ની નવી નોટ લઇ બજારમાં લાવે છે!