બાબરી મસ્જિદ વિધ્વંસની 22મી વર્ષગાંઠ; અયોધ્યામાં સુરક્ષા માટે 10000 સુરક્ષા જવાનો તૈનાત
બાબરી મસ્જિદ વિધ્વંસની આજે 22મી વર્ષગાંઠ છે. આજના જ દિવસે વર્ષ 1992માં સૈંકડો કારસેવકોએ બાબરી મસ્જિદને ખંડિત કરી હતી.
અયોધ્યા, 6 ડિસેમ્બર : બાબરી મસ્જિદ વિધ્વંસની આજે 22મી વર્ષગાંઠ છે. આજના જ દિવસે વર્ષ 1992માં સૈંકડો કારસેવકોએ બાબરી મસ્જિદને ખંડિત કરી હતી. આ ઘટનાને કોમવાદ પ્રેરિત ગણાવવામાં આવી હતી. જેના પગલે ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં સાંપ્રદાયિક માહોલ અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં હતો. આજના દિવસની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં 10,000 સુરક્ષાકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ધાર્મિક પ્રવાસે નીકળેલા લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે આજના દિવસે અયોધ્યા ના જશો, કારણ કે ખૂણે ખૂણે પોલીસ ગોઠવાયેલી છે અને ચેકિંગ કરી રહી છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. અયોધ્યામાં કોઇ પ્રકારે માહોલ ખરાબ ના થાય અને શાંતિ જળવાય તે માટે રમખાણો વિરોધી કાફલાને પણ સતર્ક કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિક સત્તાવાળાઓએ અયોધ્યા અને ફૈજાબાદમાં થ્રી ટાયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ સુરક્ષાની જવાબદારી અગ્રણી અધિકારીઓને સૌંપવામાં આવી છે.
શહેરમાં અસામાજિક તત્વોને હલ્લો કરતા રોકવા માટે બે ડઝનથી વધારે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. બીજી તરફ મુસ્લિમ સમુદાયે આ દિવસને બ્લેક ડે એટલે કે કાળો દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. લોકોને આજના દિવસે કાળા વાવટા દર્શાવવા અપીલ કરવામાં આવી છે. આજના જ દિવસે દુકાનો બંધ રાખવા પણ કહેવામાં આવ્યું છે.
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંપ્રદાયના લોકોએ આ દિવસને બહાદુરી અને વિજયના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી છે. સરયુ નદી પર પીએસીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.