તમે તમારી ગાય-ભેંસો માટે આધાર કાર્ડ બનાવ્યું? ના, તો વાંચો આ..
મોદી સરકારે 88 મિલિયન(8 કરોડ, 80 લાખ) ગાય અને ભેંસ માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
દેશના નાગરિકો માટે આધાર કાર્ડની ઘણી નવી યોજનાઓ શરૂ કર્યા બાદ હવે મોદી સરકાર પશુઓ માટે પણ આધાર કાર્ડ બનાવવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે ગાયો અને ભેંસોની ઓળખાણ કરવા માટે આધાર કાર્ડ બનાવવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત 88 મિલિયન(8 કરોડ, 80 લાખ) દુધ આપતી ગાયો અને ભેંસોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના પાર પાડવા માટે લગભગ 148 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
પશુના કાનમાં ટેગ થશે યુઆઇડી
ઇકોનોમિક્સ ટાઇમ્સની ખબરો અનુસાર, સરકાર 88 મિલિયન ગાયો અને ભેંસોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપશે. આ માટે પશુના કાનમાં એક ટેગ દ્વારા યૂઆઇડી નંબર સેટ કરવામાં આવશે. પશુના કાન પર લગાવવામાં આવેલા આ નંબરની મદદથી તેની ઓળખ થઇ શકશે, જેથી તેમની રસીકરણ વગેરેની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે અને સાચા સમયે થઇ શકે. આની પાછળનો મુખ્ય હેતુ દૂધનું ઉત્પાદન વધારવાનો છે. આ યોજના પર કામ શરૂ થઇ ગયું છે. કહેવાઇ રહ્યું છે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મહત્વાકાંક્ષી યોજના છે.
પશુ માલિકને મળશે હેલ્થ કાર્ડ
ગાય અને ભેંસના કાનમાં ઓળખ માટે જે ટેગ નાંખવામાં આવશે, તે માટે સરકારને એક પશુ દીઠ આશરે 8 રૂપિયાનો ખર્ચ આવશે. આ ટેગના નંબર પરથી એક ડેટા બેઝ તેયાર કરી પશુ માલિકને આ સંબંધિત એક હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. આ હેલ્થ કાર્ડ બતાવતાં જ જે-તે પશુ અંગેની માહિતી પશુ ડૉક્ટર ઓનલાઇન જોઇ શકશે અને એને આધારે પશુને છેલ્લે રસી ક્યારે આપવામાં આવી હતી એ પણ જાણી શકાશે. આશરે 148 કરોડ રૂપિયાના ખર્ચે થનાર આ કામની સંપૂર્ણ યોજના તૈયાર છે તથા તેની પર કામ પણ શરૂ થઇ ચૂક્યું છે. આ વર્ષે (2017)માં જે પશુઓને યુનિક નંબરથી જોડવામાં આવશે, તેમાં સૌથી વધુ 14 લાખ ઉત્તર પ્રદેશ અને ત્યાર બાદ 7.5 લાખ મધ્યપ્રદેશના પશુઓનો સમાવેશ થાય છે. ભારતમાં 4 કરોડ, 10 લાખ ભેંસો અને 4 કરોડ, 70 લાખ ગાયો છે, જે દૂધ આપે છે.
અહીં વાંચો - ક્યારે અટકશે આ? બેંગલુરુ બાદ મુંબઇમાં યુવતી સાથે થઇ છેડતી