તમિલનાડુના રાજ્યપાલને મળી શક્તિ પરીક્ષણ કરાવવાની સલાહ
એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવને સલાહ આપી છે કે, એક અઠવાડિયાની અંદર તેઓ વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે, જેથી ખબર પડે કે બહુમત કોની પાસે છે.
તમિલનાડુ ની સત્તાની જંગમાં જીત મેળવવા માટે એઆઇએડીએમકેના મહાસચિવ શશિકલા અને તમિલનાડુના અસ્થાયી મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ વચ્ચે મતભેદ વધતો જાય છે. આથી જ કેન્દ્ર સરકારની સલાહને આધારે ભારત સરકારના એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવને બહુમત પરીક્ષણ કરાવવાની સલાહ આપી છે.
મુક્લ રહોતગીએ રાજ્યપાલને કહ્યું કે, તેઓ એક અઠવાડિયાની અંદર વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે, જેથી ખબર પડે કે બહુમત કોની પાસે છે. તેમણે વિધાનસભામાં એક વિશેષ સત્ર બોલાવવાની સાથે જ બહુમત સિદ્ધ કરવા માટે બંન્ને પાર્ટીઓને આમંત્રિત કરવાની સલાહ આપી છે. એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ પોતાના સૂચનમાં જણાવ્યું છે કે, વર્ષ 1998માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જગદંબિકા પાલ અને કલ્યાણ સિંહ વચ્ચે સદનમાં ફ્લોર ટેસ્ટ થઇ હતી, જેમાં કલ્યાણ સિંહ 29 વોટ સાથે જીતી ગયા હતા.
અહીં વાંચો - તમિલનાડુઃ રાજકારણમાં નવો વળાંક, રાજ્યપાલની મુશ્કેલીઓ વધી
તો બીજી બાજુ ડીએમકે ના નેતા એમ.કે.સ્ટાલિને કહ્યું કે, 'અમે તો પહેલા દિવસથી જ આ વાત પર ભાર મૂકી રહ્યાં છે કે જેની પાસે બહુમત હોય તેને સરકાર બનાવવા આમંત્રિત કરવામાં આવે. અમે કોઇનું સમર્થન નથી કરી રહ્યા. એઆઇએડીએમકે અમારું વિરોધી દળ છે અને હંમેશા રહેશે. રાજ્યપાલે એવો નિર્ણય લેવો જોઇએ, જેથી રાજ્યમાં બને એટલી જલ્દી સરકાર સ્થાપિત થઇ શકે.' જયલલિતાના આવકથી વધુ સંપત્તિવાળા કેસ અંગે પુછતાં તેમણે કહ્યું કે, અદાલતનો નિર્ણય આવ્યા બાદ જ તેઓ આ અંગે કોઇ ટિપ્પણી કરશે.