મુલાયમસિંહની કવાયત નિષ્ફળ, કાકા-ભત્રીજો સ્ટેજ પર જ બાખડ્યા
સપા સુપ્રીમો મુલાયમસિંહની કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશને ભેગા કરવાની કવાયત નિષ્ફળ ગઇ છે. મુલાયમસિંહે બંનેને મેળવવાના પ્રયત્નો કર્યા હતા. બીજુ શું કહ્યું જાણો આગળ....
સપા સુપ્રીમો મુલાયમસિંહની કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશને ભેગા કરવાની કવાયત નિષ્ફળ ગઇ છે. મુલાયમસિંહે બંનેને મેળવવાના પ્રયત્નો કર્યા હતા. મુલાયમે કહ્યુ હતુ કે, 'અખિલેશ, શિવપાલ તમારા કાકા છે, તેમના ગળે મળો,' ત્યારબાદ અખિલેશ કાકાના પગે લાગ્યો હતો. પરંતુ થોડી જ વારમાં આ મિલન દિલનુ નહિ માત્ર ગળાનુ જ સાબિત થયુ.
જો કે આ દરમિયાન શિવપાલ અને અખિલેશ વચ્ચે ગરમાગરમી થઇ હતી. શિવપાલે અખિલેશના હાથમાંથી માઇક ઝૂંટવી લીધુ હતુ અને કહ્યુ કે સીએમ જૂટ્ઠો છે. ત્યારબાદ અખિલેશે મોટા અવાજમાં કહ્યુ કે શું અમરસિંહે કંઇ નથી કર્યુ? બંને વચ્ચે વાત ઝપાઝપી સુધી પહોંચી ગઇ હતી. સુરક્ષાકર્મીઓ વચ્ચે પડ્યા અને આ ઘટના બાદ મુલાયમસિંહ પોતાના ઘરે અને અખિલેશ પોતાની ઑફિસ પહોંચ્યા હતા.
સમાજવાદી પક્ષમાં ચાલી રહેલા સંગ્રામ વચ્ચે આજે પક્ષના ભવિષ્યનો નિર્ણય થવાનો છે. સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ આજે શિવપાલસિંહ યાદવ, અખિલેશ યાદવ સહિત તમામ નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. તો બીજી તરફ બે ભાગમાં વહેંચાયેલા પક્ષના કાર્યકર્તાઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા.
મુલાયમે અખિલેશને આપ્યો ઠપકો, અંસારી-શિવપાલનો કર્યો બચાવ
મુલાયમસિંહે પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે હું શિવપાલ અને અમરસિંહ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી શકીશ નહિ. અમરસિંહ મારો ભાઇ છે, તેમના બધા ગુના માફ. પક્ષને બહુ મહેનતથી ઉભો કર્યો છે. તેમણે અખિલેશને કહ્યુ હતુ કે હૅલીકૉપટર તમારા બાપાનુ નથી, જનતાના પૈસાનું છે. અનુશાસનમાં રહેવુ પડશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અખિલેશ સરકાર ચલાવશે અને શિવપાલ પક્ષ ચલાવશે. સમાજવાદી પક્ષ તૂટી નહિ શકે. શિવપાલે મારા અને પક્ષ માટે જે કામ કર્યુ છે તે હું ક્યારેય ભૂલી નહિ શકુ. રાજકારણમાં ત્યાગ અને સેવા કરવી પડે છે. પોતાની છબી બહુ જ સાચવીને બનાવવી પડે છે. મુખ્તાર અનસારીનો પરિવાર ઇમાનદાર પરિવાર છે. અખિલેશ, તમે હવામાં ઉડી રહ્યા છો. એવુ ન સમજો કે યુવાનો મારી સાથે નથી, એક ઇશારે મારી પડખે આવી જશે. હું પીએમ બની શકતો હતો પરંતુ મે સમાધાન ના કર્યુ. ઘણા નેતાઓએ ચાપલૂસીને જ ધંધો બનાવી લીધો છે. હજુ હું કમજોર નથી થયો. એમ ના વિચારો કે યુવાનો મારી સાથે નથી. અમે બહુ મહેનતથી પક્ષ બનાવ્યો છે. જે લોકો ઉછળી રહ્યા છે તે એક લાકડી પણ નહિ ખઇ શકે. પક્ષમાં ચાલી રહેલ ઝઘડાથી હું દુખી છુ. આવા કંકાસથી દૂર રહો.
અખિલેશે રડતા રડતા કાઢી ભડાશ, કહ્યુ- તમે કહેશો તેમ કરીશ
અખિલેશ યાદવે પક્ષ કાર્યાલયમાં ભાવુક સંબોધન કરીને ત્યાં હાજર લોકોને પણ ભાવુક કરી દીધા હતા. તેમણે પોતાની ભડાશ કાઢતા કહ્યુ કે ષડયંત્રકારીઓ સામે હું જરુરથી એક્શન લઇશ. જો આ તમારો પક્ષ છે, તમારુ કૅરિયર છે તો મારુ પણ કૅરિયર છે. મારુ પણ કૅરિયર બરબાદ થયુ છે. હવે હુ શુ કામ કરીશ, તમે જે ઉચાઇ પર મને પહોંચાડ્યો છે શું તે બધુ છોડી દઉ હવે. જો મે કંઇ ખોટુ કહ્યુ હોય તો મને માફ કરજો. લોકો મારા પર આંગળી ચીંધે છે કે જે વચનો આપ્યા તે પૂરા કેમ નથી કર્યા માટે મે ઝડપથી કામ કરવાનુ ચાલુ કર્યુ. મે પક્ષ અને પ્રદેશને આગળ વધાર્યો છે. રામગોપાલ યાદવે મને નહોતુ કહ્યુ કે શિવપાલને હટાવો. જો તમારી કે પક્ષ વિરુદ્ધ કં ષડયંત્ર થશે તો હું કડક કાર્યવાહી કરીશ. અમરસિંહે કહ્યુ હતુ કે ઑક્ટોબરમાં મોટો બદલાવ આવશે, નવેમ્બરમાં અખિલેશ મુખ્યમંત્રી નહિ રહે. નેતાજીના કહેવાથી મે પ્રજાપતિને હટાવી દીધા.
શિવપાલ- દીકરાના સમ ખાઇને કહુ છુ કે અખિલેશે અલગ પક્ષ બનાવવાનુ કહ્યુ હતુ
શિવપાલે અખિલેશ પર આરોપ લગાવતા કહ્યુ કે સીએમ અલગ પક્ષ બનાવવા ઇચ્છતા હતા. આ વાત હું મારા દીકરાના સમ ખાઇને કહુ છુ. હું ગંગાજળ હાથમાં લેવા પણ તૈયાર છુ. તેમણે વધુમાં કહ્યુ હતુ કે રામગોપાલની દલાલી નહિ ચાલે. નેતાજી, મે તમારી સાથે બાળપણમાં જ કામ શરુ કરી દીધુ હતુ. ગામેગામ ફરીને સંઘર્ષ કર્યો છે. જ્યારે તમે જેલમાં ગયા હતા ત્યારે તમારી લખેલા પત્રો લોકો સુધી પહોંચાડતો હતો. શું મારુ કોઇ યોગદાન નથી? સીએમ મને કહે કે ક્યાં કમી રહી ગઇ. મારે સીએમ સાથે કોઇ ઝઘડો નથી.