"કુટુંબમાં ક્લેશ ના હોત તો કોંગ્રેસ સાથે ગઠબંધન ના હોત"
અખિલેશે પહેલી વાર કહ્યું કે, જો મારા પરિવારમાં ઝગડો ના થયો હોત તો મેં ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધન ના કર્યું હોત.
યુપીમાં ચૂંટણી નું ઘમાસાણ પૂર જોશમાં ચાલી રહ્યું છે, તમામ પક્ષો ચોથા ચરણ પહેલાં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. બસપા, ભાજપ અને સપા-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ચાલી રહેલા આ મહાભારતમાં કોણ વિજેતા બનશે, એ તો 11 માર્ચના રોજ જ ખબર પડશે.
સપા-કોંગ્રેસ ગઠબંધન
ભાજપ નરેન્દ્ર મોદીના દમ પર અને બસપા માયાવતીના દમ પર યુપીની ચૂંટણી લડી રહ્યાં છે. તો બીજી બાજુ સપા-કોંગ્રેસ ગઠબંધનને કારણે ચર્ચામાં છે. અખિલેશ અને રાહુલનું સાથે થવું એ વાત જેટલી રસપ્રદ છે એના કરતા ઘણી વધારે આશ્ચર્યજનક છે.
પરિવારમાં ક્લેશ ના હોત તો..
આ ગઠબંધન અંગે અનેક લોકોએ વિવિધ અનુમાનો લગાવ્યા છે, પરંતુ હવે આખરે અલિખેશ યાદવે આ અંગે નિવેદન આપ્યું છે. રાહુલ સાથે વિવિધ રોડ શોમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળતા અખિલેશ યાદવે પહેલી વાર આ ગઠબંધન અંગે વાત કરતાં કહ્યું કે, જો પરિવારમાં ક્લેશ ના હોત તો કોંગ્રેસ સાથે ગઠબંધન ના કર્યું હોત. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, સપા-કોંગ્રેસ ગઠબંધનનો નિર્ણય યોગ્ય છે અને મને આ વાતની ઘણી ખુશી પણ છે.
રાહુલ અને અખિલેશની વિચારસરણી છે સરખી
એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, મારી અને રાહુલની વિચારસરણી સરખી છે, અમે સરખે-સરખી ઉંમરના છીએ અને એકસરખું વિચારીએ છીએ, અમે બંન્ને ઇચ્છીએ છીએ કે દેશ અને રાજ્યનો વિકાસ થાય.
ધર્મનિરપેક્ષતાને બચાવવા માટે સાથે થયા
અખિલેશે કહ્યું કે, દેશને સાંપ્રદાયિક તાકાતો ખૂબ નુકસાન પહોંચાડી રહી છે. આથી સપા અને કોંગ્રેસે સાથે મળીને આ તાકાતોનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. દેશની ધર્મનિરપેક્ષતાને બચાવવા માટે અમારે સાથે ઊભા રહેવું જરૂરી છે. પીએમ મોદી અને અમિત શાહ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે, તે દેશ માટે જોખમરૂપ છે.
બે યુવાઓનું ગઠબંધન છે
કોંગ્રેસ સાથેના ગઠબંધન પર અખિલેશે આગળ કહ્યું કે, આ બે પક્ષ કે દળનું ગઠબંધન નથી, પરંતુ બે યુવાઓનું ગઠબંધન છે અને યુવાઓની સરકાર બનવા જઇ રહી છે.
અહીં વાંચો