ગુરમેહરના મામલે અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન પણ સામે આવ્યા
અનુપમ ખેરે કહ્યું કે, કેટલાક લોકો ગુમેહરના મામલે રાજકારણીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમિતાભે કહ્યું કે, મારે આ મામલે હવે કંઇ નથી કહેવું.
દિલ્હી યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ગુરમેહર કૌર ના વિવાદને લઇને અભિનેતા અનુપમ ખેરે પણ પોતાનો મંતવ્ય આપ્યો છે. તેમણે કહ્યું કે, ગુરમેહર કૌરે જે કહ્યું, તે બિલકુલ સાચુ છે. કોઇ યુદ્ધની તરફેણમાં નથી. સૌનિકો બોર્ડર પર દેશની સુરક્ષા માટે બેઠા છે, ના કે ગોળી ખાવા માટે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ગુરમેહરની વાતોનો ઉપયોગ કરી રાજકારણીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તો બીજી બાજુ અમિતાભ બચ્ચને કહ્યું કે, આ અંગે મારા જે વિચારો છે, તેને હું મારા પૂરતા જ સીમિત રાખવા માંગુ છું.
છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી યુનિવર્સિટીના લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થીની ગુરમેહર કૌરની દેશભરમાં ચર્ચા છે. 22 ફેબ્રુઆરીના રોજ દિલ્હી યુનિવર્સિટીના રામજસ કૉલેજમાં વામપંથી વિદ્યાર્થી સંગઠન અને એબીવીપીના વિદ્યાર્થીઓની અથડામણ થઇ હતી. આ અથડામણમાં વામપંથી વિદ્યાર્થીઓએ એબીવીપી પર હિંસા, યુવતીઓ સાથે ગેરવર્તૂણક અને પથ્થર મારવાના આરોપ લગાવ્યા હતા. આ વિવાદ બાદ લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થીની ગુરમેહર કૌરે સોશિયલ મીડિયા પર એબીવીપીના વિદ્યાર્થીઓ પર યુવતીઓ પર રેપની ધમકી લગાવવાનો આરોપ લગાવતા એક કેમ્પેન શરૂ કર્યું હતું.
અહીં વાંચો - કેમ્પેનમાંથી ખસી ગુરમેહર, પણ રાજકારણીય દોષારોપણ અકબંધ
આ કેમ્પન બાદ કારગિલમાં શહીદ થનાર મનદીપ સિંહની દિકરી ગુરમેહર કૌરના એક જૂના વીડિયોની તસવીર ચર્ચામાં આવી, જેમાં તે યુદ્ધનો વિરોધ કરતી નજરે પડે છે. જેમાં તે પોતાના હાથમાં એક પોસ્ટકાર્ડ લઇને ઊભેલી જોવા મળે છે, જેમાં લખ્યું હતું, મારા પિતાને પાકિસ્તાને નહીં, પરંતુ યુદ્ધે માર્યા છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેને અનેક ટિપ્પણીઓ અને ધમકીઓનો સામનો કરવાનો આવ્યો હતો. ઘણાએ તેને દેશદ્રોહી પણ ઠેરવી હતી. ગુરમેહરે બે દિવસ પહેલાં જ આ કેમ્પેનમાંતી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે, પરંતુ આમ છતાં આ મુદ્દે વિવાદ હજુ થોભ્યો નથી. આ મામલે લોકો બે પક્ષમાં વહેંચાઇ ગયા છે, એક જેઓ ગુમેહરનું સમર્થન કરી રહ્યાં છે અને બીજા જેઓ તેને દેશદ્રોહી કહી તેની મજાક ઉડાવી રહ્યાં છે.