જયલલિતાની તબિયત સુધારા પર: જે.પી.નડ્ડા, રાજ્યપાલ રાવ મુંબઇથી પરત ફર્યા
તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને અપોલો હોસ્પિટલમાં Extracorporeal membrane oxygenation પર રાખવામાં આવ્યા છે...
સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ નિવેદન આપી જણાવ્યુ છે કે, 'તમિલનાડુના મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તેમણે હોસ્પિટલ સાથે પણ વાત કરી હતી. આજે એઇમ્સના ડોક્ટરોની ટીમ ચેન્નઇ પહોંચી જશે. અમે સતત હોપિટલના સંપર્કમાં છીએ.'
જયલલિતાને રવિવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને અપોલો હોસ્પિટલમાં જ Extracorporeal membrane oxygenation પર રાખવામાં આવ્યા છે. જયલલિતાની સારવાર માટે લંડનથી વિશેષ ડોક્ટર રિચર્ડ બેલ પાસે સલાહ લેવાઇ રહી છે. તેઓ પોતે ચેન્નઇ પહોંચી રહ્યા છે.
શું છે ઇસીએમઓ
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને ઇસીએમઓ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. હ્રદય કે ફેફસા કામ ન કરવાની સ્થિતિમાં ઇસીએમઓ દ્વારા શરીરને ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. જયલલિતાની શ્વસનક્રિયા આના દ્વારા જ ચાલી રહી છે.
રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ મુંબઇથી પરત ફર્યા
અપોલો હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે જયલલિતાના સ્વાસ્થ્ય પર ડોક્ટરોની વિશેષ ટીમ નજર રાખી રહી છે. જેમાં હાર્ટ સ્પેશિયાલીસ્ટ, લંગ્ઝ સ્પેશિયાલીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલીસ્ટ પણ હાજર છે. આ દરમિયાન સીએમની બીમારીના સમાચાર સાંભળીને રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ મુંબઇના પ્રવાસેથી પરત ફર્યા છે.
77 દિવસથી હોસ્પિટલમાં ભરતી છે જયલલિતા
ઉલ્લેખનીય છે કે એઆઇડીએમકેના પ્રમુખ અને અમ્માના નામથી લોકપ્રિય 68 વર્ષના જયલલિતા 22 સપ્ટેમ્બરે તાવ અને ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 77 દિવસથી હોસ્પિટલમાં ભરતી છે. જયલલિતાના હાર્ટ એટેકની વાત સાંભળીને હોસ્પિટલની બહાર તેમના સમર્થકોની ભીડ જમા થઇ છે. લોકો પોતાના નેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.