એબીપી ન્યૂઝ-નીલસન સર્વે: CM રેસમાં કિરણથી આગળ નીકળ્યા કેજરીવાલ
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: દિલ્હી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટીઓ ચૂંટણી યુદ્ધ જીતવા માટે પોત-પોતાની શક્તિઓ લગાવી રહી છે. પરંતુ એબીપી ન્યૂઝ-નીલસનના તાજા સર્વે અનુસાર આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જોકે ભાજપે કિરણ બેદીને મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવીને પોતાનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, પરંતુ સામાન્ય જનતાની વચ્ચે અરવિંદ કેજરીવાલ જ સામાન્ય લોકોની પહેલી પસંદ છે.
આ સર્વે અનુસાર ભાજપના લોકપ્રિયતામાં ઘટાડો અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં વધારો દેખાઇ રહ્યો છે. એબીપી ન્યૂઝ-નીલસનના સર્વેની માનીએ તો દિલ્હીની અડધી જનતા એટલે કે 50 ટકા આમ આદમી પાર્ટીને વોટ આપવાનો ઇરાદો ધરાવે છે, જ્યારે 41 ટકા વોટર જ ભાજપના પક્ષમાં છે જ્યારે કોંગ્રેસના પક્ષમાં માત્ર 9 ટકા લોકો જ દેખાઇ રહ્યા છે.
આ સર્વે અનુસાર મુસલમાન, દલિત, આદિવાસી, પછાત જાતિઓ અને ઓછી આવક ધરાવતા લોકોની વચ્ચે આમ આદમી પાર્ટી ખૂબ જ લોકપ્રિય છે, આ તમામને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર વિશ્વાસ છે.
આ સર્વેમાં એક વાર ફરીથી દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને સીએમની પોસ્ટ માટે બેસ્ટ ચોઇસ બતાવવામાં આવ્યા છે. દિલ્હીની 51 ટકા જનતાની નજરમાં કેજરીવાલ જેવા ઇમાનદાર નેતાએ જ મુખ્યમંત્રી બનવું જોઇએ તો 41 ટકા જનતાની નજરમાં કિરણ બેદી મુખ્યમંત્રીની ખુરશી માટે પરફેક્ટ છે જ્યારે 8 ટકા લોકો એવા છે જેમને લાગે છે કે કોંગ્રેસના અજય માકન મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા લાયક છે.