કેમ્પેનમાંથી ખસી ગુરમેહર, પણ રાજકારણીય દોષારોપણ અકબંધ
રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ગુમેહર કૌરના સમર્થનમાં, કિરણ રિજીજૂએ કહ્યું, આ યુવતીનું મગજ કોણ ખરાબ કરી રહ્યું છે?
એબીવીપી અને વામપંથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની ઝપાઝપીથી શરૂ થયેલા વિવાદે હવે વધુ મોટું અને રાજકારણીય રૂપ ધારણ કર્યું છે. દિલ્હી યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ગુમેહર કૌરના પક્ષમાં હવે રાજકીય પક્ષો પણ આગળ આવ્યા છે. મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુરમેહરનું સમર્થન કર્યું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ પણ ડીયૂની વિદ્યાર્થીનીના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તો બીજી બાજુ કિરણ રિજીજૂએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થયા બાદ અને અનેક ટિપ્પણીઓ, અપશબ્દો, ધમકીઓનો સામનો કર્યા બાદ આખરે ગુરમેહરે આ કેમ્પેનમાંથી પોતાનું નામ ખસેડી લીધું છે. તેણે આ અંગે મંગળવારે સવારે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, "હું આ કેમ્પેનથી પોતાને અલગ કરી રહી છું. સૌને શુભકામનાઓ. હું વિનંતી કરું છું કે મને એકલી મુકી દો. મને જે કહેવું હતું, એ હું કહી ચૂકી છું."
"હું ઘણું બધું સહન કરી ચૂકી છું, 20 વર્ષની ઉંમરમાં આનાથી વધારે સહન નહીં કરી શકું. આ અભિયાન વિદ્યાર્થીઓ માટે હતું, મારા માટે નહીં. જે લોકો મારી બહાદુરી અને સાહસ પર સવાલ ઉઠાવી રહ્યાં છે, એમને કહેવા માંગુ છું, કે મેં જરૂર કરતાં વધારે જ સાબિત કરી દીધું છે."
દેશ વિરોધી નારા લગાવવાનું કામ BJP અને ABVPનું - કેજરીવાલ
ટ્વીટર પર આશુતોષ મિશ્રા નામના હેન્ડલથી કરવામાં આવેલા એક ટ્વીટમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, 'કથિત દેશ વિરોધી નારા લાગતા હોય ત્યારે દરેક વખતે ABVP ત્યાં કઇ રીતે હાજર હોય છે? દરેક વખતે દેશ વિરોધી નારાનો વીડિયો ABVP જ કઇ રીતે જાહેર કરે છે?' આના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, આ દેશ વિરોધી નારા લગાવવાનું કામ ભાજપ અને એબીવીપી જાતે કરે છે.
ઉપરાજ્યપાલને મળશે AAP નેતા
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી કે, આમ આદમી પાર્ટીના નેતા બપોરે 2.30 વાગે દિલ્હીના ઉપરાજ્યપાલને મળશે અને ગુરમેહર કૌરને મળેલી ધમકીઓની ફરિયાદ કરશે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ અને એબીવીપીના લોકો ગુરમેહર કૌરને દબાણપૂર્વક નિશાન બનાવી રહ્યાં છે. ગુરમેહરને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી છે.
રાહુલ ગાંધીનું પણ સમર્થન
બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી ગુરમેહર કૌરનું સમર્થન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'કોઇનાથી ડર્યા વગર અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ઊભા છીએ. ગુસ્સામાં અસહિષ્ણુતા અને ભેદભાવ વિરુદ્ધ જ્યાં પણ અવાજ ઉઠાવાશે, ત્યાં બધે એક ગુરમેહર કૌર જોવા મળશે.'
|
કિરણ રિજીજૂએ પણ કર્યું ટ્વીટ
સોશિયલ મીડિયા પર ગુરમેહર કૌરે શરૂ કરેલા કેમ્પેન અંગે વિવાદ વધતાં વિદેશ રાજ્યમંત્રી કિરણ રિજીજૂએ પણ આમાં ઝંપલાવ્યું છે. તેમણે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, આ યુવતીનું મગજ કોણ ખરાબ કરી રહ્યું છે?
દાઉદ સાથે તુલના
ગુરમેહરને સમર્થન તો હવે મળ્યું, પરંતુ આ પહેલાં તેને અનેકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી.મૈસૂરથી ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાએ ગુમેહરની તુલના ગાઉદ ઇબ્રાહિમ સાથે કરી હતી. ભાજપ સાંસદે ટ્વીટર પર ગુરમેહર અને દાઉદની તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, દઉદ કમ સે કમ પોતાના રાષ્ટ્ર વિરોધી વલણને સાચો સાબિત કરવા માટે પોતાના પિતાના નામનો ઉપયોગ તો નથી કરતો!
|
વીરેન્દ્ર સેહવાગે ઉડાવી મજાક
ગુરમેહર કૌરે સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેના હાથમાંના પોસ્ટકાર્ડમાં લખ્યું છે, મારા પિતાનો જીવ પાકિસ્તાને નહીં, યુદ્ધે લીધો. ગુરમેહરની આ ટિપ્પણી પર ઘણી હસતીઓ ટિપ્પણીઓ આવી છે. જેમાં વીરેન્દ્ર સેહવાગનો પણ સમાવેશ થાય છે. સેહવાગે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેમના હાથમાંના પોસ્ટકાર્ડ પર લખ્યું છે, મેં બે ટ્રિપલ સેન્ચૂરી નથી ફટકારી, એ મારા બેટે ફટકારી છે.
અહીં વાંચો