ખુલાસો: આસારામે વિવિધ નામે 280 કરોડ લગાવ્યા બજારમાં
સગીર યુવતીઓ સાથે યૌન શોષણના આરોપોમાં જેલની હવા ખાઇ રહેલા સ્વઘોષિત ધર્મગુરૂ આસારામને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. જે સમાચાર મળી રહ્યાં છે, તે મુજબ આસારામે ઇંદોરના માર્કેટમાં વિવિધ નામે 280 કરોડ રૂપિયા લગાવ્યા છે. આસારામે આ રૂપિયા મોહન લુધિયાની નામના વ્યક્તિની મદદથી માર્કેટમાં લગાવ્યા છે. આસારામના ટ્રસ્ટીઓ આશ્રમના પૈસા બજારમાં લગાવીને ધૂમ પૈસા કમાઇ રહ્યાં છે.
આયકર વિભાગની તપાસ ટીમ દ્વારા ઇંદોર અને સુરતમાં જે તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ખુલાસા થઇ રહ્યાં છે. તપાસમાં વર્ષ 1999થી અત્યારસુધીની લેવડદેવડના હિસાબો સામે આવી રહ્યાં છે. આસારામે ઇંદોર સિવાય ભોપાલ, ગ્વાલિયર, અને જબલપુરમાં વ્યાજે રૂપિયા લગાવ્યા છે. આ તમામ શહેરોમાં આસારામના ટ્રસ્ટીઓ વ્યાજે પૈસા ફેરવીને તગડો નફો કમાઇ રહ્યાં છે.
મોહન લુધિયાનીએ તપાસ દરમ્યાન પૂછપરછમાં જણાવ્યું હતુ કે આશ્રમના નામે વ્યાજે પૈસા ફેરવીને આ સઘળો વ્યાપાર ચલાવનાર લોકોમાં મહત્તમ લોકો બ્રહ્મચારી સેવકો છે. આસારામનું માનવુ છેકે બ્રહ્મચારી લોકોની આગળ પાછળ કોઇ નથી હોતુ એટલે રૂપિયા સુરક્ષિત રહેશે. આસારામની ધરપકડ બાદ આ તમામ સેવકોને આસારામની છબી જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.