બાબા રામદેવનો ભાઇ રામભરત અપહરણનો આરોપ લાગતા ફરાર
હરિદ્વાર, 22 ઓક્ટોબર : બાબા રામદેવ ફરી એક વાર વિવાદના વંટોળમાં ફસાયા છે. જો કે આ વખતે વિવાદનું કારણ તેઓ પોતે નહીં પણ તેમનો ભાઇ રામભરત બન્યો છે. કેટલાક ગુનાના સંદર્ભમાં તેમના ભાઇ સામે અપહરણ અને અન્ય ગંભીર ગુનાના આરોપો નોંધવામાં આવ્યા છે. ન્યુઝ ચેનલ આજતકના જણાવ્યા અનુસાર સોમવારે પોલીસે બાબ રામદેવની યોગપીઠમાંથી નિતીન ત્યાગી નામના યુવકને ઘવાયેલી સ્થિતિમાંથી મુક્ત કરાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે નીતિનનું અપહરણ કરીને તેને યોગપીઠમાં રાખવામાં આવ્યો છે. આ માહિતીને પગલે પોલીસે યોગપીઠમાં છાપો માર્યો હતો. ત્યાંથી નીતિન ઘવાયેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ચાર લોકોની ધરપકડ કરી છે. જો કે નીતિનનું અપહરણ કરનાર બાબા રામદેવનો ભાઇ રામભરત ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધમાં છે.
નીતિન ત્યાગીનું અપહરણ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે નીતિને પતંજલિ આશ્રમમાં કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો. આ મુદ્દે રામભરત ગુસ્સે થઇ ગયો હતો. આથી તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. નીતિનના ઘરવાળાઓએ ઉત્તરાખંડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે પોતાની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં બાબા રામદેવ કોંગ્રેસની વિરુદ્ધમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે પ્રણ લીધું છે કે તેઓ લોકસભા ચૂંટણીઓ બાદ જ પતંજલિ પીઠમાં પાછા ફરશે. હાલ તેમણે પોતાના ભાઇ પર લાગેલા આરોપો અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.