ઉતાવળમાં થાપ ખાઇ ગયા બાબા, બની ગયા હાસ્યનું પાત્ર!
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: કહેવાય છે કે ઉતાવળમાં હંમેશા કંઇકને કંઇક લોચા ચોક્કસ વાગે છે, એવા જ કંઇક લોચા માર્યા છે યોગ ગુરુ બાબા રામદેવે. જાણ્યે-અજાણ્યે હંમેશા વિવાદોમાં રહેનાર બાબા રામદેવ આ વખતે પદ્મભૂષણને લઇને નવા વિવાદમાં આવી ગયા છે. પદ્મભૂષણ સન્માનને લઇને એક ખુલાસો થયો છે જેમાં સામે આવ્યું છે કે પદ્મ સન્માનની સૂચિમાં તેમનું નામ જ ન્હોતું.
આપને જણાવી દઇએ કે પુરસ્કારના નામની જાહેરાત પહેલા જ ઉતાવળમાં બાબા રામદેવે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને એવું જણાવી દીધું કે તેઓ પદ્મ પુરસ્કારની સૂચિમાંથી પોતાનું નામ હટાવવા માંગે છે.
બાબા રામદેવે ગૃહમંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ સંન્યાસી છે અને તેમને કોઇ પણ પુરસ્કાર કે સન્માનની આશા કે અપેક્ષા નથી. રામદેવે ગૃહમંત્રીને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે મને નિશ્વાર્થભાવે કાર્ય કરવા દેવામાં આવે, અને પુરસ્કાર માટે કોઇ અન્ય યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવે.
જોકે રામદેવના એક નજીકના સમર્થકે સરકારની આ મંશા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે આખરે કેન્દ્ર સરકારે મીડિયામાં બાબાને પદ્મ પુરસ્કાર આપવાના સમાચારોનું ખંડન શા માટે ના કર્યું.