સામે આવ્યો એક સર્વે, શું મોદી-શાહની જીતેલી બાજી બગાડશે?
કર્ણાટકમાં થયેલા એક સર્વેએ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારની મુશ્કેલીઓ વધારી છે. ભાજપની કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની નીતિને આ સર્વેનો રિપોર્ટ ચોક્કસથી ઝટકો આપશે. વધુ જાણો અહીં
કર્ણાટકમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પણ તેની પહેલા આવેલા એક સર્વે જ્યાં કોંગ્રેસના ચહેરા પર ખુશી લાવી દીધી છે ત્યાં જ ભાજપ માટે કપરા ચઢાણરૂપ સાબિત થવાનો છે. આ સર્વે મુજબ કર્ણાટકમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર આવવાની સંભાવના વધુ છે. આ સર્વે સી ફોરની તરફથી કરવામાં આવ્યો છે. 19 જુલાઇથી 10 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવેલા આ સર્વે મુજબ હાલની તારીખમાં કર્ણાટકમાં ચૂંટણી થાય તો કોંગ્રેસને 120-132 સીટો મળવાની સંભાવના છે. જો કે બીજી તરફ ભાજપને ગયા વર્ષની તુલનામાં વધુ સીટો મળી શકે છે પણ તે તેના જીતવા માટે પર્યાપ્ત નહીં હોય.
કોંગ્રેસની જીત
સર્વે મુજબ હાલની તારીખમાં ચૂંટણી થાય તો કર્ણાટકમાં ભાજપને 60 થી 72 સીટો મળી શકે છે. તો જેડીએસને પણ ચૂંટણીમાં 24-30 સીટો મળી શકે છે. વોટ શેયરની વાત કરીએ તો પોલ સર્વેમાં કોંગ્રેસને 43 ટકા વોટ, ભાજપને 32 અને જેડીએસને 17 ટકા વોટ મળશે.
165 વિધાનસભા
ઇન્ડિયા ટુડે, સી ફોરનો દાવો છે કે તેમણે 165 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 24676 લોકોની આ માટે સલાહ લીધી છે. આ સર્વેમાં તે પણ ખુલાસો થયો છે લોકોના મતે કે હાલના કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અન્ના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. અને તેમની મિડ ડે મીલની યોજનાને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. જો કે પીવાના પાણીની અછત, ખરાબ સડકો, બેરોજગારી, ગરીબી મુખ્ય સમસ્યાના રૂપે બહાર આવી છે.
સર્વે
ગત મહિને પીટીઆઇમાં આવેલી ખબર મુજબ કોંગ્રેસ પણ ચૂંટણી પહેલા સર્વે કરી રહી છે જેથી તે તેના ઉમેદવારોની પસંદગી સરળતાથી કરી શકે. આ સર્વેને ખાલી વિધાનસભા પૂરતો જ નહીં પણ 2019માં થનારી લોકસભાની ચૂંટણી માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ભાજપને જીતની આશ
જો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ જ્યારે કર્ણાટકની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કર્ણાટકમાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કર્ણાટકમાં પોતાની ત્રણ દિવસની યાત્રા બાદ તેમણે આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે કર્ણાટકમાં ભાજપની ભૂતપૂર્વ સરકારોના કૌભાંડો લોકો હજી ભૂલી નથી શક્યા માટે કર્ણાટકમાં ભાજપની જીત મુશ્કેલ જરૂર છે. પણ અમિત શાહની કોઇ નવી ચાલ ભાજપને જીતવા માટે જવાબદાર બની રહે તો પછી કંઇ કહેવાય નહીં.