રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર
ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાષ્ટ્રપતિની પદ માટે એનડીએ સરકારના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા દિવસોથી આગામી રાષ્ટ્રપતિના ઉમેદવારને લઇને રાજકારણ ક્ષેત્રે ચર્ચા-વિચારણાઓ થઇ રહી હતી. સોમવારે આખરે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન દ્વારા રાષ્ટ્રપતિના પજ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી ખાતેના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર કર્યું હતું.
વકીલ તરીકે કામગીરી બજાવી છે
ઉલ્લેખનીય છે કે, રામ નાથ કોવિંદ હાલ બિહાર રાજ્યના રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલ કોવિંદ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં વકીલાત કરી ચૂક્યાં છે. આ સાથે જ તેઓ વર્ષ 1994માં રાજ્યસભા સાંસદ બન્યા હતા. કોવિંદ ભાજપ પક્ષનો દલિત ચહેરો છે. તેઓ 23 જૂનના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ યોજાયેલ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. અમિત શાહે પત્રકાર પરિષદમાં રામ નાથ કોવિંદના નામની ઘોષણા સાથે જ કહ્યું હતું કે, 'સહયોગી દળોને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. વિપક્ષ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ વાતચીત કરીને આગળનો નિર્ણય લેશે.'