'સોનિયાના ઇશારે સાંસદોએ ડિસ્ટર્બ કરી, મીરા કુમારે બોલતા અટકાવી'
સુષમા સ્વરાજે જણાવ્યું કે 'હું જ્યારે ગૃહમાં બોલવા માટે ઉભી થઇ ત્યારે મને સાંસદો શાંતિથી સાંભળી રહ્યા હતાં, બે મીનીટ બાદ સોનીયા ગાંધીએ ઇશારો કરી તેમના સાંસદોએ મને ડિસ્ટર્બ કરવા માટે ઉભા કર્યા. સત્તાપક્ષના સાંસદો મારી વાતમાં વિક્ષપ પાડી રહ્યા હતા, જોકે મને વિશ્વાસ હતો કે સ્પીકર અધ્યક્ષ મીરા કુમાર મને સપોર્ટ કરશે અને બોલવાનો અવકાશ આપી તેમના સાંસદોને બેસવાનું કહેશે. પરંતુ મીરા કુમારે મને બોલતા અટકાવી અને જણાવ્યું કે 'થઇ ગયું બેસી જાવ, ઓકે ઓકે બેસી જાવ.'
સુષમા સ્વરાજે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને મીરા કુમાર બંનેએ ભારતીય સાસંદની અવગણના કરી છે, અવહેલના કરી છે. માટે અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્પીકર કે સંસદીય કાર્યમંત્રી દ્વારા બોલાવવામાં આવતી કોઇપણ બેઠક કે વાર્તામાં અમે ભાગ નહીં લઇએ.
સુષમાએ જણાવ્યું કે 'અમે વિરોધી પક્ષ છીએ અમે અત્રે જનતાની વાત કરવા આવ્યા છીએ, અમે અમારા ઘરની વાત કરવા નથી આવ્યા. ચર્ચામાં તેઓ બે મીનીટ પણ વિપક્ષને સાંભળી ના શકે તો શું કરવાનું? આજની ઘટના પરથી સાબિત થઇ ગયું છે કે મીટિંગમાં કે વાર્તાઓમાં ગમે તે નક્કી થાય પરંતુ સંસદમાં એ જ થશે જે સોનિયા ગાંધી ઇચ્છશે. માટે સંસદીય કાર્યમંત્રી દ્વારા બોલાવવામાં આવતા કે સ્પીકર અધ્યક્ષા દ્વારા બોલાવવામાં આવતી કોઇપણ બેઠકમાં અમે ભાગ નહીં લઇએ.
તેમણે જણાવ્યું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય આ સત્ર માટે છે, અન્ય સત્ર માટે ત્યારની સ્થિતિ પ્રમાણે વિચારવામાં આવશે. જેવું લોકસભામાં કર્યું છે તેવું રાજ્યસભામાં કરવામાં આવશે.