અરશદ વારસીના બંગલા પર ફરી વળ્યું BMCનું બુલડોઝર
અભિનેતા અરશદ વારસીના ઘર પર બીએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે. અરશદ પર ગેરકાયદેસર બાંધકામનો આરોપ હતો.
બોલિવૂડમાં સર્કિટના પાત્રથી ફરી લાઇમલાઇટમાં આવેલ અભિનેતા અરશદ વારસીના ઘર પર બીએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે. મુંબઇ મહાનગર પાલિકા(બીએમસી) દ્વારા અરશદ વારસના ઘરના એક ભાગને તોડી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અરશદ વારસીએ પોતાના ઘરમાં એક માળનું નિર્માણ ગેરકાયદેસર રીતે કર્યું હતું, જેને કારણે એ માળ તોડી પાડવામાં આવ્યો છે.
અરશદ વારસીએ વર્ષ 2012માં એર ઇન્ડિયાના નિવૃત્ત કેપ્ટન પાસેથી આ બંગલો ખરીદ્યો હતો. ઘર ખરીદ્યા બાદ રિનોવેશન દરમિયાન અશરદે એક વધારાના માળનું બાંધકામ કરાવ્યું હતું, જે ગેરકાયદેસર હતું. શાંતિનિકેતન એર ઇન્ડિયા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના પર સોમવારે એક્શન લેવામાં આવ્યું હતું.
અરશદને મળી હતી નોટિસ
અરશદ વારસીને શનિવારના રોજ આ મામલે બીએમસી તરફથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યાર બાદ સોમવારના રોજ ઘરના એ માળને તોડી પાડવામાં આવ્યો હતો. બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ગેરકાયદેસર બાંધકામના એક ભાગને તોડી પાડ્યો છે, આ દરમિયાન અભિનેતા ઘરે હાજર નહોતા. બાકીના ગેરકાયદેસર બાંધકામને તોડવાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
1300 સ્ક્વેર ફૂટની વધારાની જગ્યા
બીએમસી તરફથી એવું પણ કહેવાયું છે કે, અશરદે પોતાના બંગલાના સેકન્ડ ફ્લોર પર 1300 સ્ક્વેલ ફુટની વધારાની જગ્યા કવર કરી લીધી હતી. આ માટે જ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તપાસ બાદ, વાત સાચી ઠરતાં એ બાંધકામ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.