રાધે માંના ઘર પર ફરી શકે છે, BMCનું બુલડોઝર
ખુદને દેવી દુર્ગાનો અવતાર કહેનાર રાધે માંની મુશ્કેલીઓ દિવસેને દિવસે ઓછી થવાની જગ્યાએ વધી જ રહી છે. અત્યાર સુધી રાધે માં પર અશ્લીલ હરકતો, દહેજ ઉત્પીડન, અને અન્ય આરોપો થઇ રહ્યાં હતા. હવે રાધે માં પર એક નવી મુસીબત આવી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે રાધે માંના ઘર પર BMCનું બુલડોઝર ફરી શકે છે.
જે સમાચાર મળી રહ્યાં છે તે મુજબ રાધે માં વિરૂદ્ધ મુંબઇ નગરપાલિકા પણ કાર્યવાહી હાથ ધરી શકે છે. રાધે માંનો મુંબઇના બોરીવલી સ્થિત આલીશાન બંગલો હવે મુંબઇ મહાનગરપાલિકાની આંખમાં આવ્યો છે. રાધે માંના આલિશાન આશિયાના પર ગેરકાયદે બાંધકામના આરોપ લાગી રહ્યાં છે. અને આ આરોપને લઇને ગમે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાનું બુલડોઝર રાધે માંના સપનાના મહેલ પર ચાલી શકે છે.
રાધે માં વિરૂદ્ધ ધર્મ રક્ષા મહામંચના અધ્યક્ષ પંડિત રમેશ જોશીએ મુંબઈ મહાનગરપાલિકામાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ મુંબઇ મહાનગરપાલિકાએ તેની તપાસ શરૂ કરી દીધી છે. અને હવે જો આ તપાસમાં રાધે માંના બંગલાનું નિર્માણ ગેરકાયદે હોવાની જાણકારી પ્રાપ્ત થશે તો તેમના બંગલા પર BMCનું બુલડોઝર ફરશે તે નક્કી છે.