માયાવતી:બોલવાની પરવાનગી ન હોય તો સંસદમાં રહેવાનો ફાયદો શું?
બીએસપી સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામુ
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ માયાવતીએ મંગળવારે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના સભાપતિને મોકલી આપ્યું છે. તેમણે સભાપતિને ત્રણ પાનાંનું રાજીનામું મોકલ્યું છે, જેમાં તેમણે રાજીનામાના કારણો વિસ્તારથી સમજાવ્યા છે. રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં માયાવતીએ કહ્યું કે, ગરીબો, ખેડૂતો અને દલિતોની વાત હું સંસદમાં રજૂ કરવા માંગુ છું. જો હું આ લોકોની વાત સંસદમાં ન મુકી શકું, એમાં મને રોકવામાં આવે તો પછી સંસદમા રહેવાનો શું ફાયદો?
માયાવતીએ આગળ કહ્યું કે, હું પોતે દલિત સમાજમાંથી આવું છું, મારા સમાજના મુદ્દાઓ સંસદ સમક્ષ રજૂ કરવા મારી ફરજ છે. જો હું આ કામ ન કરી શકું તો પછી સંસદમાં રહેવાનો શું ફાયદો? સહારનપુરમાં જે રીતે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો, એ અંગે હું સંસદમાં બોલવા માંગતી હતી, પરંતુ મને પરવાનગી આપવામાં ન આવી. સત્તા પક્ષના સભ્યો અને મંત્રીઓએ મારી વાત દરમિયાન અવાજ કરી મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હું રાજીનામું આપવા ગઇ ત્યારે વિપક્ષ પાર્ટીના નેતાઓએ મારી પાસે આવી મને રાજીનામું ન આપવા જણાવ્યું. હું એ તમામનો આભાર માનું છું જેમણે મને રાજીનામું આપતા રોકી અને દલિતો અંગેની મારી વાતને સમર્થન આપ્યું. પરંતુ સંસદમાં જે રીતે મારો અવાજ દબાવવામાં આવ્યો હતો, એને ધ્યાનમાં લેતા મેં આખરે રાજીનામું આપી દીધું.
શું થયું હતું સંસદમાં?
સંસદનું ચોમાસુ સત્રમાં મંગળવારે રાજ્યસભામાં માયાવતી સહારનપુરમાં દલિતો પર થયેલ હિંસા અંગે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યાં હતા. આ દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને અન્ય સત્તા પક્ષના સભ્યોએ અવાજ કરતાં માયાવતીએ ઉપસભાપતિ પાસે વધુ સમયની માંગણી કરી હતી. પરંતુ માયાવતીને સમય આપવામાં ન આવ્યો. આ કારણે માયાવતી નારાજ થઇ ગયા અને તેમણે જણાવ્યું કે, તેઓ એક ખૂબ મહત્વપૂર્ણ વાત કરી રહ્યાં છે, માટે તેમને પોતાની વાત પૂરી કરવાની તક આપવામાં આવે. આમ છતાં, ઉપસભાપતિએ માયાવતીને પોતાનું સ્થાન ગ્રહણ કરવા જણાવ્યું. આ વાતથી માયાવતી વધુ નારાજ થયા અને તેમણે કહ્યું કે, તેમને બોલવાની તક આપવામાં આવે, નહીં તો તે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપશે. ત્યાર બાદ સંસદમાં ચાલી રહેલ હોબાળા વચ્ચે માયાવતી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા.
સંસદમાં માયાવતી અને રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે.કુરિયન વચ્ચે પણ દલીલો થઇ હતી. માયાવતીને જિદ્દ હતી કે તેમને વધુ સમય આપવામાં આવે, પરંતુ કુરિયન આ માટે રાજી ન થતાં માયાવતી ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેમણે ગુસ્સામાં પુછ્યું હતું કે, તેમને શા માટે બોલવાની તક આપવામાં નથી આવતી?